કેરલઃ મુસીબતમાં તમામ વ્યક્તિ ભાગી જાય છે. પરંતુ ઘણા એવા બહાદુર લોકો પણ હોય છે જે મુસીબતમાં પોતાની હિંમત અને સુઝબુઝથી દુનિયાને હેરાન કરી દે છે. ફક્ત 16 વર્ષના બાળકે એક દુર્ઘટના દરમિયાન ગભરાવાને બદલે પરાક્રમ બતાવ્યું હતું. કોઝિકોડમાં રહેનારા આદિત્ય એક બહાદુર છોકરો છે. તેણે નેપાળ ટૂર પર જતી એક બસ દુર્ઘટનામાં 20 લોકોના જીવ બચાવ્યા હતા. આગની લપેટ વચ્ચે તેણે લોકોના જીવ બચાવ્યા હતા.
આદિત્યને આ કામ માટે રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. ભારત સરકારે આદિત્યને વર્ષ 2019માં વીરતા પુરસ્કાર આપ્યો હતો.
આદિત્ય કોઝીકોડના રમનટ્ટુકારાનો છે. એક દિવસ આદિત્યની દાદીને કાલીકટ યુનિવર્સિટીના પેન્શનર વૃદ્ધો માટે નેપાળ ટૂરનું આમંત્રણ મળ્યું. આ ટૂરમાં મોટાભાગના વૃદ્ધો હતા. વૃદ્ધોની સાથે પરિવારના કેટલાક લોકો પણ હતા. જેને કારણે આદિત્ય દાદી અને માતાપિતા સાથે 25 એપ્રિલના રોજ ટૂર પર નીકળી ગયો. આદિત્યએ કહ્યું કે, બસમાં 72 લોકો સવાર હતા, અમે હસતા-ગાતા જઇ રહ્યા હતા. અમે લુમ્બિની, કાઠમંડૂ ને પોખરાનો પ્રવાસ કર્યો.
અમે નેપાળથી લખનઉ માટે એક મેના રોજ જઇ રહ્યા હતા. ત્યારે બે બસમાં 43 લોકો હતા અને અમે ભારતીય સરહદથી 60 કિલોમીટર દૂર હતા. દરમિયાન એક વ્યક્તિએ બસના પાછળના ભાગમાંથી ધૂમાડો આવતો દેખાયો. આ વાતની જાણ ડ્રાઇવરને કરવામાં આવતા તેણે વાતને ધ્યાનમાં લીધી નહી. પરંતુ બાદમાં વધારે ધૂમાડો નીકળવા લાગ્યો તો ડ્રાઇવરે બસ ઉભી રાખી અને બધા બહાર નીકળવા લાગ્યા.
બસમાં આગ લાગી ચૂકી હતી. મારા પિતા, ટૂર ઓપરેટર અને કેટલાક અન્ય લોકો અમારી સાથે પ્રવાસ કરી રહ્યા હતા. તેઓ બસની નીચે ઉતર્યા હતા. અચાનક બસમાં આગ ફેલાઇ અને લોકો બચાવો બચાવો બૂમો પાડી રહ્યા હતા. બસમાં બધા વૃદ્દ હતા જેથી હું તેમની મદદે દોડી આવ્યો.
બાદમાં આદિત્યએ હથોડો હાથમાં લઇને પોતાની તમામ તાકાતનો ઉપયોગ કરી બસના પાછળનો કાચ તોડી નાખ્યો. જેને કારણે બધા લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા, આદિત્યની વીરતાના કારણે 20 લોકોનો જીવ બચી શક્યો હતો.
આદિત્ય કહે છે કે હું કોઇ શારીરિક રીતે બોડી બિલ્ડર કે ટ્રેનર નથી પરંતુ તે દિવસે મારામાં કેવી રીતે તાકાત આવી મને જ ખબર નથી. દીકરાની વીરતા અને હિંમતથી તેના પિતા અનીશે આદિત્યને ગળે લગાવી શાબાશી આપી હતી. દેશના વડાપ્રધાન મોદીએ પણ આદિત્યને વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યો હતો.