દેવાના સંકટમાં ડૂબેલાં રિલાયન્સ ગ્રુપનાં ચેરમેન અનિલ અંબાણી હવે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં સ્થિત રિલાયન્સ સેન્ટરમાં શિફ્ટ થશે. હાલમાં, યસ બેંકે દેવાની ચૂકવણી ન કરવા બદલ સાંતાક્રુઝમાં રિલાયન્સ ગ્રુપના હેડક્વાર્ટ પર ક્બ્જો લઈ લીધો છે. હવે અનિલ અંબાણીએ નવા મુખ્યાલયથી કામ કરવું પડશે.
સાન્તાક્રુઝમાં બિલ્ડિંગની સાથે સાથે દક્ષિણ મુંબઈ સ્થિત અનિલ અંબાણીની અન્ય બે ઓફિસો પણ યસ બેંક દ્વારા કબજે કરવામાં આવી છે. આવી સ્થિતિમાં અનિલ અંબાણીએ હવે બેલાર્ડ એસ્ટેટમાં તેમની હેડ ઓફિસ લાવવાની ફરજ પડી છે. 2018 સુધી, તેઓ અહીંથી જ કામ કરતા હતા.
અનિલ અંબાણીની નજીકના બે સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ સંકટને કારણે અનિલ અંબાણીની હેડઓફિસને શિફ્ટ કરવામાં સમય લાગ્યો છે. હવે અનિલ અંબાણીના ગ્રુપ પાસે ફક્ત અહીંની ઓફિસ ખોલવાનો વિકલ્પ છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર નવી ઓફિસમાં સ્થળાંતર કરતા પહેલા કેટલુંક સમારકામનું કામ ચાલી રહ્યું છે.
જોકે, 6,000 સ્ક્વેર ફીટની આ ત્રણ માળની બિલ્ડિંગમાં એટલાં કર્મચારીઓની સંખ્યાને સમાવવાનું મુશ્કેલ છે, કારણ કે કેટલાંક સાન્તા ક્રુઝમાં બિલ્ડિંગમાં હતા. અનિલ અંબાણીની તે બિલ્ડિંગમાં 7 લાખ ચોરસ ફૂટ જગ્યા હતી. આ સંદર્ભમાં, અનિલ અંબાણીની આ ઓફિસમાં જૂની ઓફિસની તુલનામાં એક ટકા વિસ્તાર પણ નથી. જોકે, રિલાયન્સ ગ્રૂપ દ્વારા હજી સુધી ઓફિસ બદલવા અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
રિલાયન્સ સેન્ટર એક સમયે ક્રેસેન્ટ હાઉસ તરીકે જાણીતું હતું, જેની માલિકી કોલકાતા સ્થિત કંપની આઈસીઆઈની હતી. 1990 માં જ્યારે રિલાયન્સે આઈસીઆઈનું અધિગ્રહણ કર્યુ, ત્યારે બિલ્ડિંગ રિલાયન્સમાં આવી હતી. ત્યારે રિલાયન્સના સંસ્થાપક ધીરુભાઇ અંબાણી જીવંત હતા. આ પછી, 2005માં મુકેશ અંબાણી સાથે ભાગ પડ્યા ત્યારબાદ આ ઓફિસ અનિલ અંબાણીને આપવામાં આવી.
જો કે, આ ઇમારતનો એક ભાગ મહારાષ્ટ્ર સરકારના ફૂડ એન્ડ સપ્લાય વિભાગ પાસે છે. કાયદાકીય લડત બાદ સરકારને આ ભાગ મળ્યો હતો. જણાવી દઈએકે, દેવાનાં સંકટને કારણે રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સાન્તાક્રુઝમાં ઓફિસ વેચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 7 લાખ ચોરસફૂટની તે ઓફિસ વેચી શકાઈ નહીં.
અંતે યસ બેન્કે તેને તેના કબ્જામાં લઈ લીધી. નોંધપાત્ર વાત એ છે કે અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપનીઓ સતત નાદાર થઈ રહી છે. એક કેસની સુનાવણી દરમિયાન અનિલ અંબાણીએ લંડનની અદાલતમાં પોતાની નેટવર્થ શૂન્ય જણાવી હતી.