જન્મ દિવસ બધાના જીવનનો ખુબ જ ખાસ દિવસ હોય છે. આ દિવસે દરેક વ્યક્તિ તેને સ્પેશિયલ ડે બનાવવા માગે છે. સંબંધીઓ તમારા લાંબા જીવનની પ્રાર્થના કરી શુભ સંદેશ મોકલે છે. પરંતુ છત્તીસગઢમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેને સાંભળી બધા હતપ્રત રહી ગયા. અહીં એક મહિલા ડોક્ટરે પોતાના જન્મ દિવસે જ મોતનો દિવસ બનાવી લીધો. તે આત્મહત્યા કરી આ દુનિયાને અલવીદા કહી ગઇ.
આ ચોંકાવનારી ઘટના બિલાસપુર શહેરની છે જ્યાં જાણીતી ચિકિત્સક ડોક્ટર અલકા રાહલકરે 3 જુલાઇ શુક્રવારે મોડી રાતે આત્મહત્યા કરી લીધી. ડોક્ટરે જાતે જ એનેસ્થેસિયાનું હાઇડોઝ ઇન્જેક્શન લગાવી આપઘાત કરી લીધો. હજુ સુધી આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટરનો 60મો જન્મ દિવસ હતો.
મૃતક ડોક્ટરે આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી છે જેમાં લખ્યું છે કે હું મારી મરજીથી જીવ આપી રહી છું, આ માટે કોઇ જવાબદાર નથી. હું મારી લાઇફથી સંપૂર્ણ રીતે સંતુષ્ઠ છું તેમ છતાં દુનિયા છોડી રહી છું.
ઉલ્લેખનીય છે કે ડોક્ટર અલકા રાહલકરનું બિલાસપુરમાં એન્ડોસ્કોપી એન્ડ સર્જિકલ ક્લિનિક છે. આ ક્લિનિકને તેઓ ખુદ ચલાવતી હતી. એટલું જ નહીં તેમના પતિ ડોક્ટર ચંદ્રશેખર રાહલકર કેન્સર સ્પેશિયાલિસ્ટ છે. સાથે જ તેમનો પુત્ર પણ સિંગાપુરમાં ડોક્ટર છે. પરિવારમાં કોઇ પરેશાની ન હતી તેમ છતા તેઓએ આવું પગલું કેમ ઉઠાવ્યું તે તપાસનો વિષય છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ડોક્ટર અલકાના પતિ હાર્ટ પેશન્ટ છે જેઓની રાયપુરમાં સારવાર ચાલી રહી છે. તે એક દિવસ પહેલા જ પતિની સારવાર કરાવી ઘરે પરત ફરી હતી. કેટલાક લોકોનું માનવું છે કે તે ઘણા દિવસથી ડિપ્રેશનમાં ચાલી રહી હતી જેને પતિની બીમારી સાથે જોડીને લોકો ચર્ચા કરી રહ્યાં છે.