એક ખૂબ જ શોકિંગ અને હીચકારો બનાવ સામે આવ્યો છે. પત્નીને એઇડ્સ થતાં પતિ સાળીના પ્રેમમાં પડી ગયો હતો. એટલું જ નહીં નડતરરૂપ પત્નીનો કાંટો કાઢવા માટે ચાર્જરના વાયરથી ટૂંપો દઈ તેની હત્યા કરી નાખી હતી. તેમજ લાશને સીમમાં ફેંકી દીધી હતી. પણ કહેવાય છે ને કે પાપ હંમેશાં છાપરે ચડીને પોકારે છે. એવી જ રીતે પતિની પાપ લીલાનો અંતે ભાંડો ફૂટ્યો હતો.
શું હતો બનાવ?
આ સમગ્ર હત્યાકાંડની સનસનાટીભરી હકીકત એવી છે કે આજથી સવા મહિના પહેલાં રાજકોટના વિંછીયા તાલુકાના દલડી ગામની પરિણીતા રંજનબેન રાજેશભાઈ ઓળકિયા ઘણા સમય થઈ ગૂમ થયાં હતાં. આ અંગે પરિણીતાના પતિ રાજેશે વીંછિયા પોલીસમાં પત્ની ગુમ થયાની ફરિયાદ કરી હતી. પોલીસને ગુમ રંજનબેનની ભાળ ન મળતાં સામાજિક આગેવાનો અને યુવતીના પરિવારજનો પોલીસની ઢીલી કામગીરી સામે ધરણાં પર ઊતર્યા હતા.
પોલીસની આકરી પૂછપરછમાં પતિ ભાંગી પડ્યો
બીજી તરફ પોલીસને શંકા જતાં પોલીસે રંજનબેનના પતિ રાજેશની આકરી પૂછપરછ કરી હતી, જેમાં તેણે પત્નીની હત્યા કરી હોવાની વાત કબૂલી હતી. પોલીસે તેના પતિ રાજેશની ઊલટતપાસ કરતાં તે ભાંગી પડ્યો હતો. અને પોતે જ હત્યા કરીને લાશ ચોટીલાના ઢોકળવાની સીમમાં ગુનો છુપાવવાના ઇરાદે કોતરોમાં દાટી દીધી હોવાનું કબૂલતાં ચકચારી હત્યા બહાર આવી હતી.
પત્નીની દાટેલી લાશ બહાર કાઢતાં કંકાલ મળી આવ્યું
વીંછિયા પોલીસના પીએસઆઇ વાય. એસ. ચુડાસમા સહિતની ટીમ હત્યારા પતિ રાજેશને લઈને ઢોકળવાના વીડમાં આવી હતી. જ્યાં પત્ની રંજનબેનની દાટેલી લાશ બહાર કાઢતાં કંકાલ મળી આવ્યું હતું. કંકાલને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલી આપવામાં આવ્યું છે. ગુનો ચોટીલાની હદમાં બન્યો હોઈ, ચોટીલા પોલીસ મથકે પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરીને પોલીસે પતિની ધરપકડ કરી હતી.
સાળીની સગાઈના આગલા દિવસે પત્નીને બાઈક પર લઈને નીકળ્યો
વધુ મળતી વિગત મુજબ રાજેશની સાળી ઇન્દુની સગાઈ હતી, એના આગલા દિવસે પત્ની સાથે છાસિયા જવા બાઇક પર નીકળ્યો હતો. અને નક્કી કરેલી વીડી રસ્તાનું સ્થળ આવતાં વિસામો લેવાનું કહી કોતર નજીક રોકાયાં હતાં. ત્યાં જ મોબાઇલના ચાર્જરના વાયરથી ટૂંપો દઈ હત્યાને અંજામ આપી લાશને દાટી દીધી અને ગુમ થયાની વાત ઊપજાવી કાઢી હતી. પતિએ આડખીલી રૂપ પત્નીની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. પોતાના પર કોઈને શંકા ન જાય એ માટે અને પોલીસનું તથા સગાંસંબંધીનું ધ્યાન અન્ય જગ્યાએ દોરવા માટે પતિએ જ પોલીસને જાણી કરી હતી કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે.