શિવહર, બિહાર: લગ્નમાં બેન્ડબાજા ના લઈ જવાના કારણે નારાજ રહેલા વરરાજાએ કુવામાં કુદી આત્મહત્યા કરી. જાન નીકળવાની હતી તે અગાઉ જ પરિવારને આ ઘટનાની જાણ થઈ, જે પછી ઘરમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. આ ઘટના પિપરાહી ક્ષેત્રના વોર્ડ નંબર-9ની છે.
રામલાલના નાના દીકરા રાજ નારાયણ (22)ની જાન સીતામઢી જીલ્લાના મધકોલ ગામમાં જવાની હતી. ઘરમાં ખુશીનો માહોલ હતો. પૂજા પણ થઈ ચૂકી હતી. મંગળ ગીત સાથે લગ્નની તૈયારીઓ અંતિમ તબક્કામાં હતી. ત્યારે જ વરરાજાએ કુવામાં કુદી આત્મહત્યા કરી હતી. આ અંગે માહિતી મળતા જ ઘરમાં માતમનો માહોલ છવાયો. ઘટનાની જાણ થતા એસઆઈ અવધેશ કુમાર સ્થળ પર પહોંચ્યા. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. પરિવારજનોએ યુવકની હત્યાથી ઈન્કાર કરતા પોસ્ટમોર્ટમ કર્યા વગર જ અંતિમ સંસ્કાર કર્યા.
રામલાલ 4 ભાઈ અને એક બહેનમાં બીજા ક્રમે હતો. પરિવારજનો અનુસાર, તેને ધૂમધામથી લગ્ન કરવા હતા. પિતા રાજ નારાયણ દરજી હતા. રામલાલે જાનમાં બેન્ડબાજાને લઈ જવાની અને સાથે બાઈક ખરીદવાની વાત પરિવારજનોને કરી હતી.
આ મુદ્દે 4 દિવસ અગાઉ તેનો પરિવારજનો સાથે ઝઘડો થયો હતો. તેના કારણે તે રોષે ભરાઈ લગ્નના 4 દિવસ અગાઉ જ ઘર છોડી નીકળી ગયો હતો. પરિવારજનો તેની શોધ કરી રહ્યાં હતા. તેમને આશા હતી કે લગ્નના દિવસે તો રામલાલ ઘરે પાછો આવી જશે.