દિલ્હીમાં પ્રણય ત્રિકોણનો કરૂણ અંજામ આવ્યો છે. આ પ્રેમ પ્રકરણમાં એક પ્રેમીએ બીજા પ્રેમીની હત્યા બાદ મૃતદેહને સુટકેશમાં ભરીને કરજણ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાંથી ફેંકી દીધો હતો. આ લાશ કોની છે તેનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. પરિણીત ફાઇનાન્સરના યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં યુવતીના બીજા પાગલ પ્રેમીએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે. પોલીસે આરોપી પ્રેમી ઝુબેર, પ્રેમિકા ફૈઝલ અને તેની માતા શાહીનની ધરપકડ કરી છે.
વડોદરા નજીક કરજણ રેલવે ટ્રેક પરથી દિવાળીના દિવસે મળી આવેલા લાશનો ભેદ ઉકેલાયો છે. મૃતક વ્યક્તિ દિલ્હીનો ફાઇનાન્સર હોવાનું બહાર આવ્યું છે. પ્રેમ પ્રકરણમાં આ વ્યક્તિની હત્યા કરીને લાશને આયોજન પૂર્વક ફંગોળી દેવામાં આવી હતી. મૃતક ફાઇનાન્સર તેની ઓફીસમાં ફરજ બજાવતી એક યુવતીના પ્રેમમાં પાગલ હતો. આ પ્રેમલીલા યુવતીના પરિવારજનો તથા મંગેતરને પસંદ ન હતી. જેથી દિલ્હીમાં જ ફાઇનાન્સરની આયોજનપૂર્વક હત્યા કરીને લાશને બેગમાં મૂકીને ટ્રેન મારફતે કરજણ નજીક લાશ સાથેની બેગ ફંગોળી દઇને તેનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આખી ઘટનાની વિગત એવી છે કે કરજણ રેલવે સ્ટેશન નજીક પાદરા ઓવર બ્રિજ પાસેથી ગત 14મી નબેમ્બરના રોજ એક લાશ મળી આવી હતી. લાશની સાથે કાળા રંગની સુટકેસ (બેગ) મળી આવી હતી. અજાણ્યા પૂરૂષની લાશ પર તિક્ષ્ણ હથિયારના નિશાન હતા. ગળુ કાપીને તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોચાડી હોવાનું જણાઇ આવ્યું હતું. વડોદરા રેલવે પોલીસની તપાસ દરમિયાન મૃતક દિલ્હીના મોર્ડન ટાઉન ખાતે રહેતા નિરજ ગુપ્તા હોવાનું તેમજ ફાઇનાન્સર હોવાનો ખુલાસો થયો હતો. આ હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે.
નિરજ ગુપ્તાના કરોલબાગ વિસ્તારમાં આવેલી ઓફિસમાં ફરજ બજાવતી ફૈઝલ પઠાણ નામની યુવતી સાથે તેના પ્રેમસબંધ હતા. ફૈઝલને તમામ પ્રકારની સવલતો પુરી પાડી દિવસ-રાત તેની સાથે જ રહેતો હતો. બંન્ને કેટલીક હદે પતિ પત્ની તરીકે વ્યવહારીક જીવન જીવતા હતા. નિરજ ગુપ્તા પરિણીત હતો અને પરિવારમાં પત્ની આંચલ સહિત બે સંતાનો હતા. ફૈઝલના નિરજ સાથેના પ્રેમસબંધ તેના પરિવારને મંજૂર નહોતા. ફૈઝલની માતા તરફથી વારંવાર આ બાબતે ઝઘડો પણ થતો હતો. ફૈઝલના ઝુબેર પઠાણ નામના યુવાન સાથે લગ્ન પણ નક્કી થવાના હતા. આ ઝુબેરને પણ ફૈઝલના નિરજ સાથેના પ્રેમ સબંધની જાણ થઇ ગઇ હતી. તે પણ નારાજ હતો.
ગત 13 નવેમ્બરના રોજ ફૈઝલના પ્રેમી નિરજને દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં આવેલા ફેઝલના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યો હતો. જ્યાં ફૈઝલની માતા શાહીન તથા મંગેતર ઝુબેર હાજર હતા. આ સમયે નિરજ અને ઝુબેર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં ઝુબેરે નિરજની હત્યા કરી હતી. હત્યારા ઝુબેરે નિરજની લાશનો નિકાલ કરવા માટેનો પ્લાન પણ બનાવી રાખ્યો હતો. બાથરૂમમાં લઇને લાશને સાફ કરી દઇને પુરાવાનો નાશ કરવાની શરૂઆત કરી દીધી.
લાશ સાફ કરીને કાળા રંગની સુટકેસમાં નિરજની લાશ મૂકીને તેની સાથે લઇ ગયો હતો. ઝુબેર નિઝામુદ્દીન ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ ટ્રેનમાં પેન્ટ્રીમાં ફરજ બજાવતો હોવાથી લાશ ભરેલી બેગને તેની સાથે બેગમાં મુકીને ગોવા જતી દિલ્હી મંડગાંવ ટ્રેનની પેન્ટ્રીમાં મુકી દીધી હતી. આ ટ્રેનમાં સવારે ઝુબેરે અંધારાનો લાભ લઇને કરજણ રેલવે સ્ટેશન નજીક લાશ ભરેલી બેગને રેલવે ટ્રેક પર ફંગોળી દીધી હતી. રેલવે પોલીસે દિલ્હી સ્થિત ફૈઝલના નિવાસસ્થાન અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણ કરતા કાળા રંગની બેગની હેરાફેરી જણાઇ આવી હતી. જેના આધારે કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.