અમદાવાદમાં જઘન્ય બનાવ બધાને હમચાવી દીધા છે. પિતાએ સગા દીકરાની જે રીતે ઘાતકી હત્યા કરી એ જોઈને ભલભલા ધ્રુજી ગયા છે. એટલું જ નહીં દીકરાની હત્યા બાદ તેની લાશના ગ્રાઈન્ટરથી ટૂકડા કર્યા હતા અને શહેરમાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. સુરતથી વાયા ગોરખપુર થઈને નેપાળ ભાગી જવા માટે ટ્રેનમાં બેઠેલા હત્યારા પિતાની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. આ કેસમાં એક પછી એક મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. એવું તે શું બન્યું કે નિલેશ જોશી નામના નિવૃત ક્લાસ-2 અધિકારીએ પોતાના જ દીકરાની હત્યા કરી? જે દીકરાને જીવથી વધારા પ્રેમ કરતા હતા તેનું કાસળ કેમ કાઢ્યું? આ અંગે દિવ્ય ભાસ્કરે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં અનેક રહસ્યો બહાર આવ્યા છે.
નિલેશ જોશી કહી રહ્યા હતા કે, હું 24 વર્ષની મારી કારકિર્દીમાં માનભેર જીવ્યો છું. એસટીના ડ્રાઇવરથી લઈને સુપરવાઇઝર સુધી હું પહોંચ્યો. અનેક તકલીફો સહન કરીને મેં મારા પરિવારને સાચવ્યો. મારો દીકરો પણ મારો લાડકો હતો. મારી પત્ની અને દીકરી જર્મની જતા રહ્યા, બાદ હું અને મારો દીકરો સાથે રહેતા હતા. મારા દીકરાને હું એસટીમાં જ નોકરી અપાવવા માંગતો હતો. પણ તે ડ્રગ્સના રવાડે ચડી ગયો, તેણે ડ્રગ્સ અને દારૂના નશામાં એટલે હદે ચડી ગયો હતો કે, તેને અન્ય રાજ્યમાં રિહેબ સેન્ટરમાં મોકલીને મેં મારી બચેલી મૂડી પણ ખર્ચી નાખી હતી.
મને એમાં હતું કે તે પરત આવશે, પછી બાપ અને દીકરો ફરીથી સારી જિંદગી જીવીશું. પણ આવું કંઈ બન્યું નહીં તે પરત આવ્યો અને એક જ અઠવાડિયામાં તે ફરી નશાના રવાડે ચડી ગયો, તે એસટીમાં નોકરી કરે તે માટે મેં તને હેવી વ્હિકલનું લાયસન્સ મેળવવા માટે અન્ય રાજ્યમાં મોકલ્યો, ત્યાં તેને લાયસન્સ પણ મળ્યું. પણ તેનો કોઈ મતલબ ન હતો. તેને તો માત્ર નશો કરવો હતો. રોજ તે આખી રાત ફરતો હતો અને ગમે ત્યારે આવે. ત્યારે તે મને જેમ તેમ ગાળો બોલતો હતો. મેં મારા જીવનમાં અનેક લોકોને હતાશામાંથી બહાર લાવવા મોટિવેશનલ વાતો પણ કરી. એસટીના કર્મચારી તરીકે અનેક લોકો તકલીફમાં હોય ત્યારે મારી પાસે આવતા. સ્ટેજ પર સંબોધન પણ કર્યા છે પણ મારા દીકરાને હું સમજાવી ના શક્યો.
મારો દીકરો રોજ નશો કરીને આવે ગમે તે હાલતમાં ગમે ત્યાં પડી રહેતો. મારી પાસે કોઈ આવક ન હતી. મને જે પૈસા મળતા હતા, તે મારા ખાતામાંથી બારોબાર ઉપાડી લેતો હતો. મારી પાસે બે ટંક ખાવાના પણ ફાંફા પડી ગયા હતા. હવે, એક વખત જમવા માટે રૂપિયા ન હતા એટલે મેં બે અઢી હજાર રૂપિયાની એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકેની નોકરી શરૂ કરી. મારો દીકરો તે દિવસે રાતે આવ્યો ન હતો. હું ઘરમાં સૂતો હતો, સવારે ચાર વાગ્યા આસપાસ મારો દીકરો ઘરમાં આવ્યો અને તેણે મને જોશથી લાત મારી અને કહ્યું મને જમવાનું આપો. સવારે ચાર વાગે મારો દીકરાએ મને લાત મારીને ઉઠાડ્યો. મેં કહ્યું અત્યારે તારા માટે હું જમવાનું ક્યાંથી લાઉં.
વાતમાં વાતમાં તે ઉશ્કેરાઈને મને મારવા માટે લાકડું ઉપાડ્યું. મેં વચ્ચે હાથ નાખ્યો તો મારા હાથ ઉપર ઈજા થઈ તરત જ મને કંઈ સૂઝ્યું નહીં, એટલે મેં લાત મારી, જે લાત મારા દીકરાના પેશાબ કરવાના ભાગ ઉપર વાગી હતી. તે નશામાં હતો અને નીચે બેસી ગયો મને ઉશ્કેરાટ થઈ ગયો. હું રસોડામાં જઈને લોખંડની ખાયણી લઈ આવ્યો. જે તેને માથામાં ફટકારી અને તે લોહીના ખાવો છે, એમાં પડી ગયો, તે મૃત્યુ પામ્યો હતો તે મને ખબર પડી ગઈ.
પણ હવે લાશને કઈ રીતે નિકાલ કરવો તે મારા માટે અશક્ય હું એસટીમાં નોકરી કરતો હતો. એટલે મને થોડો અંદાજ હતો કે, ઈલેક્ટ્રિક કટરથી કોઈ પણ વસ્તુ કાપી શકાય. હું મારા દીકરાની હત્યા બાદ ઘરમાં જઈને સ્નાન કરી લીધું અને કાલુપુર મંદિર જઈને ભગવાનની માફી માંગી. ઈલેક્ટ્રિક કટર ₹3,500માં ખરીદી હતી. તે ઇલેક્ટ્રિક કટર ઘરે લાવીને પહેલાં તેનું માથું કાપ્યું ત્યારબાદ હાથ અને પછી પગ કાપ્યા હતા. કારણ કે, હું આખી લાશ એક સાથે ઊંચકી શકું તેમ ન હતું. એટલે ટુકડા કર્યા. બાદ રોજ તેને અલગ અલગ જગ્યાએ નાખવા જતો હતો.
હું ઉર્દુ ભાષા સહિત અનેક બીજી ભાષાઓ પણ જાણું છું, જેથી હત્યા કર્યા બાદ મારો એક મિત્ર સુરત રહે છે. તેના ઘરે પુસ્તક લેવા માટે ગયો હતો, પણ મારો મિત્ર મળ્યો નહીં. ત્યાંથી હું સુરત રેલ્વે સ્ટેશન ગયો અને ટ્રેનમાં બેસી ગયો, ત્યાંથી હું આગળ મહાદેવના દર્શન કરીને નેપાળ જઈને સાધુ જેવું જીવન પણ જીવવા માટે તૈયાર હતો. આ પહેલા મને પોલીસે પકડી લીધો.