નવી દિલ્હી: આજે બાળકોથી થઇને યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ જોવા મળે છે. વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ કે પછી ટિકટોક… તમામ સોશિયલ મીડિયા પર યુવાવર્ગ વ્યસ્ત જોવા મળે છે. જેથી તેમના માતાપિતા પણ ચિંતિત થઇને તેમને કહે છે કે થોડો સમય તો આઉટડોર ગેમ્સ રમો. ઘણા માતાપિતા ઇચ્છે છે કે અભ્યાસ અને રમત-ગમત માટે તેમના સંતાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું છોડી છે. આવી જ રીતે એકવાર સતત ફેસબુકમાં વ્યસ્ત રહેતી એક યુવતીને તેની માતાએ ખૂબ ગુસ્સે થઇ અને ફેસબુકમાં વ્યસ્ત રહેવાને બદલે કંઇ કરી દેખાડો તેમ કહી ઠપકો આપ્યો. બસ પછી તો એ યુવતીએ માતાની વાતની મનમાં એવી ગાંઠ વાળી લીધી કે હવે તો કંઇક બનીને જ દેખાડવું છે અને તેણે ક્લાસવન અધિકારી બનવાનો નિર્ણય કર્યો. મહિલા દિવસ 2020 પર અમે આપને એવી યુવતીની સાચી કહાની જણાવી રહ્યા છીએ જે હજારો યુવાઓ માટે રોલ મોડલ બની ગઇ. આ યુવતી છે ઉત્તર પ્રદેશની અર્તિકા શુક્લા જેણે પ્રથમ ટ્રાયલમાં જ UPSCની પરીક્ષા પાસ કરી લીધી.
ડૉ. અર્તિકા શુક્લા ઉત્તર પ્રદેશના કાશીની રહેવાસી છે. અર્તિકા MBBS કર્યા બાદ MDનો અભ્યાસ કરી રહી હતી આ દરમિયાન જ તેણે UPSCની પરીક્ષા આપી. ડૉ. અર્તિકા શુક્લાનું માનવુ છે કે આ પરીક્ષા પાસ કરવા કોઇ ઉંમર કે સમયનો બાધ નથી, જ્યારે તમારુ મન કરે તેની તૈયારીઓ જોડાઇ જાવ.
અર્તિકા પહેલા ડૉક્ટર બનવા માંગતી હતી તેથી તેણે MBBSનો અભ્યાસ કર્યો. ત્યારબાદ MDનો અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વ્યસ્ત રહેતી હતી. ખાસ કરીને ફેસબુકનો ઉપયોગ કરતી હતી. એક દિવસ તેની માતા આ બાબતે અર્તિકા પર ખૂબ જ ગુ્સ્સે થઇ અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેવાને બદલે કંઇ કરી દેખાડવા કહ્યું. માતાની વાતને ગંભીરતાથી લઇ અર્તિકાએ ક્લાસવન ઓફિસર બનવાનો નિર્ધાર કર્યો.
પોતાના આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે અર્તિકાએ સૌથી પહેલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. તેણે ફેસબુકનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું અને UPSCની તૈયારીઓમાં લાગી ગઇ. વર્ષ 2014માં સિવિલ સર્વિસની તૈયારીઓ શરુ કરી હતી અને માત્ર એક વર્ષમાં તેણે કોઇપણ કોચિંગ વિના IASની પરીક્ષા પાસ કરી લીધી. ત્યાર બાદ આર્તિકા દેશના લાખો યુવાનોની રોલ મોડલ બની ગઇ.
UPSC પાસ કર્યા બાદ અર્તિકાએ લોકોને ઘણી ટિપ્સ આપી. તે માને છે કે જો તમે સ્કૂલના દિવસોમાં સારી રીતે અભ્યાસ કર્યો હોય તો અડધી તૈયારીઓ તો ત્યાંજ પૂર્ણ થઇ જાય છે. આ પરીક્ષામાં 10માં ધોરણના લેવલનું ગણિત, અંગ્રેજી અને થોડી સમજણ તમને પરીક્ષાનો પ્રથમ પડાવ સરળતાથી પાર કરાવી શકે છે.
અર્તિકાનું કહેવું છે કે આ પરીક્ષા પાસ કરવા માટે તેણે સખત મહેનતની સાથે ટાઇમ મેનેજમેન્ટ પર ધ્યાન આપ્યું હતું. ત્રણ તબક્કામાં યોજાતી IASની પરીક્ષા માટે તેણે આયોજનપૂર્વક અભ્યાસ શરૂ કર્યો હતો. પ્રાયમરી અને મેઇન પરીક્ષા માટે તેણે અલગ અલગ રીતે તૈયારીઓ કરી. રાત્રે તે લખીને યાદ રાખવાનો અભ્યાસ કરતી હતી. બધા વિષયોને સમયસર પૂર્ણ કરવા માટે ટાઇમ ટેબલ બનાવી અભ્યાસ શરૂ કર્યો હતો.
અર્તિકા માને છે કે જો લક્ષ્ય IAS બનવાનું છે તો તેના માટે 10મા ધોરણથી જ ગંભીર થઇને અભ્યાસ શરૂ કરી દેવો જોઇએ. કારણ કે આમ કરવાથી ભવિષ્યમાં તમને ઘણી મદદ મળે છે. આ પરીક્ષામાં ધો. 10ના લેવલનું ગણિત, અંગ્રેજી અને થોડી સમજદારી ઘણી કામમાં આવે છે.
અર્તિકાએ જણાવ્યું કે વર્ષ 2014માં સિવિલ સર્વિસની પરીક્ષામાં તેણે ઓલ ઇન્ડિયામાં ચોથો રેન્ક હાંસલ કર્યો હતો. તે આ પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા લોકોનો સલાહ આપે છે કે પ્રિલિમ્સ અને મેઇન એમ બંનેને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવી જોઇએ. રાત્રે લખવાની પ્રેક્ટિસ સાથે કેટલોક સમય મેઇન એક્ઝામને આપતા રહેવું જોઇએ.
ડૉ. અર્તિકા કહે છે કે ઇન્ટર્વ્યુમાં આત્મવિશ્વાસ જાળવી રાખો. જો તમને કોઇપણ વસ્તુ નથી આવડતી તો શાંતિથી જણાવો કે મને આ વિશે જાણ નથી. અર્તિકાના જણાવ્યાનુસાર આ પરીક્ષા પાસ કરવા માટે ફોકસ, નિશ્ચય, ધૈર્ય જેવી બાબતો આધાર રાખે છે અને તે તમને પરીક્ષામાં સફળતા અપાવવામાં મદદ કરે છે. UPSCની તૈયારી કરનારા વિદ્યાર્થિઓ માટે અર્તિકાએ આપેલી ટિપ્સ ઘણી મદદરૂપ સાબિત થશે.