મુંબઈઃ બોલિવૂડ કોરિયોગ્રાફ સરોજ ખાનનું શુક્રવારે મુંબઈના બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટ આવતાં નિધન થયું છે. સરોજ ખાનના નિધનથી બોલિવૂડમાં દરેક લોકો સ્તબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ગત 24 જૂને સરોજ ખાનને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને મુંબઈ સ્થિત બાંદ્રાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ પહેલાં સરોજ ખાનનું ડાયલિસિસ પણ થતું હતું.
સલમાન ખાનની બહેન અલવીરા અગ્નિહોત્રીએ સરોજ ખાનની મદદ કરી હતી
રિપોર્ટ્સ, મુજબ સરોજ ખાનની સારવારનો ખર્ચ સલમાન ખાન ફાઉન્ડેશન ઊઠાવી રહ્યું હતું. સલમાન ખાનની બહેન અલવીરા અગ્નિહોત્રીએ પણ સરોજ ખાનની સારવાર કરાવવામાં મદદ કરી હતી. સરોજ ખાનનું ઘર મુંબઈના મલાડ વિસ્તારમાં છે અને તે બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં તેમની સારવાર કરાવી રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન મુંબઈના બાંદ્રા વિસ્તારમાં રહે છે.
સલમાન ખાન જરૂરિયાતમંદ લોકોની હંમેશા મદદ કરે છે
ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, સલમાન ખાન હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવે છે. એટલું જ નહીં તેમના ફાઉન્ડેશન તરફથી પણ કરવામાં આવતી મદદ અંગે સલમાન ખાને ક્યારેય જાહેરમાં વાત કરી નથી. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની બહેન અલવીરા અગ્નિહોત્રી અને પિતા સલીમ ખાનની દેખરેખ હેઠળ ફાઉન્ડેશન ચાલે છે.
સલમાન ખાને સરોજ ખાનને કામ અંગે કર્યો હતો વાયદો
થોડાં દિવસથી સરોજ ખાન તેમના કામને લઈને હેરાન હતી. આ અંગે સલમાન ખાન અને સરોજ ખાનની મુલાકાત થઈ હતી. એટલું જ નહીં સલમાન ખાને તેમની આગામી ફિલ્મમાં કામ આપવાનો સરોજ ખાનને વાયદો કર્યો હતો.
જોકે, વાયદો પૂરો થાય તે પહેલાં સરોજ ખાનનું નિધન થઈ ગયું. સલમાન ખાન અને સરોજ ખાને ફિલ્મ ‘બીવી હો તો એસી’ અને ‘અંદાજ અપના અપના’ સહિત અનેક ફિલ્મમાં કામ કર્યું હતું.
જૂનિયર આર્ટિસ્ટની સારવાર કરાવી ચૂક્યા છે સલમાન ખાન
જૂનિયર આર્ટિસ્ટ સઈદાએ જણાવ્યું હતું કે, તેમના કેન્સરની સારવારનો ખર્ચ સલમાન ખાનનું ફાઉન્ડેશન બીઇંગ હ્યુમન ઊઠાવી રહ્યું છે. તેમણે એવું પણ જણાવ્યું કે, જ્યારે પણ સારવાર કરાવે છે, બિલ સલમાન ખાન પાસે જતું રહે છે.