ધર્મ ડેસ્કઃ દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું અનેરું માહત્મ્ય રહેલું છે. હિન્દુ શાસ્ત્રોમાં ગુરુ અને શિષ્યની અનેક કથા પ્રચલિત છે. તો હિન્દુ સંસ્કૃતિમાં અષાઢ મહિનાની પૂનમે ગુરુ પૂજા કરવાની પરંપરા રહેલી છે. આ 5 જુલાઈએ રવિવાર અને ગુરુપૂર્ણામાનો વિશેષ યોગ થશે. આ વખતે રવિવારે પૂનમ હોવાથી સૂર્યદેવની પણ પૂજા કરવી જોઈએ. પૌરાણિક ગ્રંથોમાં હનુમાનજી અને સૂર્યદેવની કથા ખૂબ જ પ્રચલિત છે કે, હનુમાનજીએ પણ સૂર્યદેવ પાસેથી વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
સૂર્યદેવ અને હનુમાનજીનો પ્રચલિત પ્રસંગ
વાનરરાજ કેસરી અને અંજની તેમના પુત્ર હનુમાનજીને વિદ્યા પ્રાપ્ત કરવા માટે સૂર્યદેવ પાસે મોકલે છે. માતા-પિતાની આજ્ઞા મેળવી હનુમાનજી સૂર્યની પાસે પહોંચ્યા અને તેમણે સૂર્યદેવને ગુરુ બનવા માટે પ્રાર્થના કરી.
સૂર્યદેવે હનુમાનજીને કહ્યું કે, ‘હું તો એક ક્ષણ પણ રોકાઈ શકતો નથી, હું રથ પરથી ઊતરી પણ નહીં શકતો. એવી સ્થિતિમાં હું તમને જ્ઞાન કેવી રીતે આપી શકું?’
ત્યારે હનુમાનજીએ કહ્યું કે, ‘તમે તમારી ગતિ ઓછી કર્યા વગર મને જ્ઞાન આપો. હું તમારી સાથે-સાથે ચાલતાં-ચાલતાં શિક્ષા હાંસલ કરીશ.’ આમ સૂર્યદેવ હનુમાનજીની આ વાત માની ગયા.
સૂર્યદેવે ચાલતાં-ચાલતા શાસ્ત્રોની વાત કહેતા ગયાં અને હનુમાનજી તેને ગ્રહણ કરતાં ગયા. આ રીતે હનુમાનજીએ સૂર્યદેવ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. હનુમાનજી આ જ્ઞાનના પ્રભાવથી જ ભગવાન શ્રીરામના પરમ ભક્ત બન્યા હતાં.
ગુરુપૂર્ણિમાના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો
ગુરુપૂર્ણિમાના દિવસે સૂર્યદેવની સાથે હનુમાનજીની પણ વિશેષ પૂજા કરવી જોઈએ. હનુમાનજીની પ્રતિમા સામે દીવો પ્રજ્વલિત કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ રામદૂતાય નમઃ મંત્રનો જાપ કરવો.