102 વર્ષ પછી પણ આવી છે પાકિસ્તાનમાં આવેલી ‘કપૂર હવેલી’, એક જ વાર જોઈ હતી ઋષિએ આ હવેલી
મુંબઈઃ બોલિવૂડમાં સદાબહાર એક્ટર કહેવાતાં ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે 30 એપ્રિલ, ગુરુવારે નિધન થયું હતું. ઋષિ કપૂરને છેલ્લાં બે વર્ષથી લ્યૂકેમિયા કેન્સર હતું. જેની સારવાર તેમણે એક વર્ષ સુધી અમેરિકામાં રહીને કરાવી હતી, અંતે તેઓ જંગ જીતી શક્યા નહોતાં. તેમના નિધનના કારણે ફેન્સ સહિત આખું બોલિવૂડ શોકમાં છે. જોકે, આ ઉપરાંત ઋષિ કપૂરનો પાકિસ્તાનથી પારિવારીક સંબંધ છે. પાકિસ્તાનમાં ઋષિ કપૂરના પિતા રાજ કપૂરનો જન્મ થયો હતો. તે જે ઘરમાં રહેતાં હતાં તે આજે પણ પાકિસ્તાનના પેશાવરમાં અડિખમ ઊભું છે. જેને ‘કપૂર હવેલી’ના નામથી ઓળખવામાં આવે છે.
‘કપૂર હવેલી’ પાકિસ્તાનના પેશાવરમાં કિસ્સા ખ્વાની બજારમાં સ્થિત છે. આ હવેલીમાં જ ઋષિ કપૂરના પિતા અને એક્ટર રાજ કપૂરનો જન્મ થયો હતો. આ હવેલી ચારેય તરફથી દુકાનોથી ઘેરાયેલી છે. આ હવેલીનું નિર્માણ રાજકપૂરના દાદા અને પૃથ્વીરાજ કપૂરના પિતા સ્વ. શઅરી બશેશ્વરનાથે કરાવ્યું હતું. બશેશ્વરનાથ તે સમયે પ્રધાન હતાં.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ હવેલી 5 માળની હતી. ભૂકંપને કારણે તેમાં તીરાડ પડી ગઈ અને ઉપરના ત્રણ માળ હટાવી દેવામાં આવ્યા હતાં. જેમાં 40-50 રૂમ હતાં. આ હવેલીનું નિર્માણ 1918થી 1922 દરમિયાન થયું હતું. તે સમયે હવેલી આલીશાન નિર્માણોમાંથી એક હતી. જોકે, પછી ધીરે-ધીરે મેન્ટેનન્સની કમીને કારણે હવેલી જર્જરીત થઈ ગઈ.
ઋષિ કપૂરને એકવાર આ હવેલી જોવાની તક મળી હતી. વર્ષ 1990માં તે તેમના અંકલ શશિ કપૂર અને પિતા રાજકપૂર સાથે પેશાવર સ્થિત કપૂર હવેલી ગયા હતાં. પાછા આવતી વખતે તે હવેલીના આંગણાંની માટી સાથે લઈ આવ્યાં કેમ કે, તેને વારસો સમજી સંભાળીને રાખી શકે. આ વાત તેમણે એક ઇન્ટર્વ્યૂમાં કહી હતી.
સારસંભાળની કમીને લીધે ‘કપૂર હવેલી’ જર્જરીત થઈ ગઈ હતી. વર્ષ 2018માં તેને એક મ્યૂઝિયમમાં બદલી દેવામાં આવી હતી. આ માટે ખુદ ઋષિ કપૂરે પાકિસ્તાન સરકારને અપીલ કરી હતી. ઋષિ કપૂરે ટ્વીટ કરી પાકિસ્તાન સરકારને અપીલ કરી હતી કે તેમની ખાનદાની હવેલીને એમ મ્યૂઝિયમમાં બદલી દેવામાં આવે.
‘કપૂર હવેલી’ને મ્યૂઝિયમમાં બદલવાની માહિતી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આપી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેમણે ઋષિ કપૂરનો ફોન આવ્યો હતો. તેમણે પેશાવરમાં તેમની ખાનદાની હવેલીને મ્યૂઝિયમમાં બદલવાની અપિલ કરી છે. તેમને જાણ કરી દો કે તેમની વાત માની લેવામાં આવી છે.
ઋષિ કપૂરને પાકિસ્તાન સાથે ખૂબ જ લગાવ હતો. વર્ષ 2016માં ઋષિ કપૂરે પાડોશી દેશ પાકિસ્તાન જવાની ઈચ્છા દર્શાવી હતી. તેમણે તેમનો એક જૂનો ફોટો શેર કર્યો હતો, જેમાં તેઓ રણધીર કપૂર સાથે કપૂર હવેલીની બહાર ઊભાં છે. તેનાં એક વર્ષ પછી તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘હું 65 વર્ષનો છું અને મરતાં પહેલાં એકવાર પાકિસ્તાન જોવા માગું છું.’