હોસ્પિટલમાં જ રણબીર ધ્રૂજતા હાથે પિતાના મોંમાં મૂક્યું તુલીસપાન અને પીવડાવ્યું ગંગાજળ
મુંબઈઃ 30 એપ્રિલના રોજ રીશિ કપૂરનું આકસ્મિક નિધન થયું હતું. લૉકડાઉન હોવાને કારણે રીશિના ચાહકો પોતાના ફેવરિટ એક્ટરને અંતિમ વિદાય આપી શક્યા નહીં. જોકે, હાલમાં જ રીશિ કપૂરના અંતિમ સંસ્કારના કેટલાંક વીડિયો વાયરલ થયા છે, જેમાં રણબીર કપૂર પિતાની અંતિમ વિધિની પૂજા કરતો જોવા મળે છે.
બે પંડિતો હોસ્પિટલ આવ્યા
રીશિ કપૂરે 30 એપ્રિલે સવારે 8.45 વાગે અંતિમ શ્વાસ લીધા હતાં. જોકે, તેમના શરીરે તો રાત્રે જ 3 વાગે વેન્ટિલેટર પર રિસ્પોન્ડ આપવાનું બંધ કરી દીધું હતું. તેમના અંગો એક પછી એક કામ કરતાં બંધ થયા હતાં. રીશિ કપૂરે અંતિમ શ્વાસ લીધા ત્યારબાદ રણબીર થોડીવાર ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો હતો. જોકે, પછી તેણે તરત જ પરિસ્થિતિ સંભાળી લીધી હતી. હોસ્પિટલમાં બે પંડિતો આવ્યા હતાં. પંડિતોએ અહીંયા રીશિની અંતિમ વિદાયની તૈયારીઓ કરાવી હતી.
આ કારણે રીશિ કપૂરના પાર્થિવ દેહને ઘરે ના લઈ જવાયો
રીશિ કપૂરના નિધન બાદ દીકરા રણબીરે તરત જ બધી ફોર્માલિટી તથા અંતિમ વિદાયની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કપૂર પરિવારને જેવા સમાચાર મળ્યાં એટલે તરત જ કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે હોસ્પિટલ આવી ગઈ હતી. અભિષેક બચ્ચન પણ આવી ગયો હતો. આલિયા ભટ્ટ સૌથી પહેલી હોસ્પિટલ આવી હતી. તેણે નીતુ સિંહને સતત સાંત્વના આપી હતી. મુંબઈ પોલીસે કપૂર પરિવારને વિનંતી કરી હતી કે તેઓ રીશિ કપૂરના પાર્થિવ દેહને ઘરે ના લઈ જાય અને હોસ્પિટલથી જ સીધા સ્મશાનગૃહમાં લઈ જવામાં આવે. હોસ્પિટલની નજીક જ ચંદનવાડી સ્મશાન હતું અને તેથી જ રીશિના અંતિમ સંસ્કાર અહીંયા કરવામાં આવ્યા હતાં. પાર્થિવ દેહને ઘરે ના લઈ જવાનો હોવાથી બે પંડિતોને પણ હોસ્પિટલ બોલાવી લેવામાં આવ્યા હતાં.
તુલસીનું પાન મૂક્યું અને ગંગાજળ પીવડાવ્યું
પંડિતોએ માસ્ક તથા ગ્લવ્ઝ સાથે આવ્યા હતાં. તેમણે રણબીરને રીશિના પાર્થિવ દેહના મોંમાં તુલીસપત્ર મૂકાવ્યું હતું. ત્યારબાદ ગંગાજળ પીવડાવ્યું હતું.
ફૂલો સમજાવેલી એમ્બ્યૂલન્સમાં અંતિમ યાત્રા નીકળી
જો લૉકડાઉન ના હોતો તો રીશિ કપૂરની અંતિમ યાત્રા ખુલ્લા ટ્રકમાં કાઢવામાં આવી હોત તે નક્કી હતું. જોકે, લૉકડાઉનને કારણે અંતિમ યાત્રા એમ્બ્યૂલન્સમાં અને માત્ર 20 લોકોને જ મંજૂરી આપવામાં આવી હતી.
પિતાના નિધનથી દિગ્મૂઢ થયો રણબીર
રણબીરને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેના પિતા આ રીતે તેને એકલા મૂકીને જતા રહેશે. પિતાના નિધન બાદ પરિવારની જવાબદારી રણબીરના ખભે આવી ગઈ હતી. પિતાના નિધનથી ભાંગી પડેલો રણબીર અંતિમ વિધિમાં પણ સાવ નખાઈ ગયેલો જોવા મળ્યો હતો.
વાંરવાર કાકા સમજાવતા રહ્યાં વિધિ
રીશિ કપૂરનો પાર્થિવ દેહ ચંદનવાડી સ્મશાનઘાટમાં લાવવામાં આવ્યો હતો. અહીંયા અંતિમ વિધિ કરવામાં આવી હતી. રીશિ કપૂરની અર્થી નીચે રાખવામાં આવી હતી. સૌ પહેલાં રણબીર કપૂરે ખભા પર માટલું મૂકીને પાંચવાર પિતાની અર્થીના ફેરા ફર્યાં હતાં. જોકે, આ સમયે રણબીરને માટલું કેવી રીતે મૂકવાનું અને કેવી રીતે પકડવાનું તે ખ્યાલ નહોતો. કાકા રાજીવ કપૂર સતત તેને સમજાવતા હતાં.
માતાને આપ્યો સધિયારો
રણબીર કપૂરે પિતાના નામની પોક મૂકી હતી. પાર્થિવ દેહને પુષ્પમાળા અર્પિત કરી હતી અને એક ચક્કર માર્યું હતું. ત્યારબાદ રણબીર કપૂર માતાને લઈને આવ્યો હતો. જોકે, નીતુ સિંહમાં એટલી હિંમત જ નહોતી કે તે પતિને માળા પહેરાવી શકે. રણબીર કપૂરે માતાનો હાથ પકડીને પિતા રીશિ કપૂરના પાર્થિવ દેહને માળા પહેરાવી હતી અને એક આંટો માર્યો હતો. ત્યારબાદ દરેક પરિજનોએ માળા પહેરાવી હતી.
સૌ પહેલાં રણબીરે આપી કાંધ
રણબીર કપૂરે સૌ પહેલાં પિતાની અર્થીને કાંધ આપી હતી. ત્યારબાદ અનિલ અંબાણી, અભિષેક બચ્ચન, મનોજ જૈન (રણબીરના ફૂઆ), અરમાન-આદર જૈન, સૈફ અલી ખાન તમામ લોકો આગળ આવ્યા હતાં.