પટણાઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે બિહાર સરકારના યોજના અને વિકાસ વિભાગના મંત્રી મહેશ્વર હજારીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રિયા ચક્રવર્તીને સુપારી કિલર અને બોલિવૂડની વિષકન્યા ગણાવી હતી. જેણે સુશાંત સિંહનો જીવ લીધો. આ ઉપરાંત હજારીએ કહ્યું કે, ‘ના જાણે રિયા આગળ પોતાની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા કેટલા લોકોના જીવ લેશે. આવી સુપારી કિલર વિરુદ્ધ વહેલી તકે કાર્યવાહી કરવામાં આવશે.’
ઉલ્લેખનીય છે કે, મૃતક સુશાંત સિંહ રાજપૂતના પિતા કૃષ્ણ કુમાર સિંહના નિવેદન અને લેખિત ફરિયાદ પર રિયા ચક્રવર્તી સહિત 6 લોકો વિરુદ્ધ પટણાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહ દ્વારા રિયા સહિતના 6 લોકોને સુશાંતના મોત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સીએમ નિતિશ કુમારની પહેલ પર સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. જેની તપાસ માટે પટણા પોલીસની 4 સદસ્યની ટીમ મુંબઈમાં છે.
બિહારના મંત્રી મહેશ્વર હજારીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં લાગણીવશ થઈ વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે રિયાને સુપારી કિલર કહી. આ સાથે મંત્રીએ રિયા ચક્રવર્તીને બચાવવાના પ્રયાસમાં બોલિવૂડની એક ખાસ ગેંગ સક્રિય હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ ગેંગ તેમની વાત ના માનનારા નિર્દોષ કલાકાર સાથે સુશાંત જેવો વ્યવહાર કરે છે.
આ ઉપરાંત સુશાંત કેસમાં મુંબઈ પોલીસ સત્ય સામે લાવવા સક્ષમ ના હોવાથી સીબીઆઈ તપાસ કરવી જોઈએ. આ મામલે જેડીયુ ઉપરાંત ભાજપ, લોજપા અને આરજેડી એમ તમામ પક્ષ સીબીઆઈ તપાસની તરફેણમાં છે.