હૈદરાબાદઃ તેલુગુ સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીએ સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી’માં ભલ્લાલદેવ પાત્ર ભજવીને દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં લોકપ્રિયતા મળવી હતી. હાલમાં જ રાણા દગ્ગુબાતીએ પોતાની ખરાબ તબિયત અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થયો હતો. રાણાએ કહ્યું હતું કે તેના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે તેનો જીવ પણ જઈ શકે તેમ હતો. રાણાએ આ વાત સામંથા અક્કિનેનીના ચેટ શોમાં આ તમામ વાતો કહી હતી. આ વાત સાંભળીને ચાહકો, સામંથાની આંખો ભીની થઈ ગઈ હતી. એટલું જ નહીં રાણા પણ એકદમ ભાવુક થઈ ઉઠ્યો હતો.
રાણાએ પહેલી જ વાર પોતાની ખરાબ તબિયત અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે જ્યારે તમે જીવનમાં પૂરી રીતે ફાસ્ટ ફોરવર્ડ ચાલતા હોવ અને ત્યારે જ એક પોઝ બટન આવી જાય છે. તેને બ્લડ પ્રેશરની સમસ્યા હતી, હૃદયની ચારેબાજુ કેલ્શિયમ જમા થઈ ગયું હતું અને કિડની પણ ફેલ થવાની અણી પર હતી. આમાં 70 ટકા ચાન્સ હેમરેજના તથા 30 ટકા ચાન્સ જીવ જવાના હતા.
શોમાં સામંથાએ કહ્યું હતું કે રાણાની આસપાસ લોકોની ભીડ હોય છે પરંતુ તે હંમેશાં એક પર્વતની જેમ ઊભો રહે છે. તેણે તેની નજર સામે રાણાને બીમારીમાંથી બહાર આવતો જોયો છે અને તેથી જ તેના માટે તે સુપરહિરો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જુલાઈમાં રાણાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. આ તસવીરમાં રાણા ઘણો જ પાતળો તથા બીમાર જોવા મળ્યો હતો. તે સમયે ચર્ચા હતી કે રાણાએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે. જોકે, એક્ટરે આ વાતનો ઈનકાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે એકદમ ઠીક છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રાણાની ફિલ્મ ‘હાથી મેરે સાથી’ આવતા વર્ષે ઉત્તરાયણ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં વિવિધ ભાષામાં બનાવવામાં આવી છે. ફિલ્મમાં રાણા ઉપરાંત પુલકિત સમ્રાટ, શ્રિયા પિલગાંવકર તથા ઝોયા હુસૈન છે. આ ફિલ્મમાં રાણાએ 50 વર્ષના જંગલ મેનનું પાત્ર ભજવ્યું છે. આ માટે તેણે 30 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. રાણાએ આ વર્ષે ઓગસ્ટમાં મિહિકા બજાજ સાથે લગ્ન કર્યા હતા.