ચીનમાં, ફૂડ પોઇઝનિંગના કારણે એક જ પરિવારના 9 લોકોનાં મોત નીપજ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફ્રીઝમાં છેલ્લાં એક વર્ષથી નૂડલ્સ રાખેલાં હતા, જેને ખાધા બાદ તેઓ બીમાર પડ્યા હતા.
ફ્રીઝમાં લાંબા સમયથી રાખેલાં નૂડલ્સથી પરિવારે નૂડલ સૂપ તૈયાર કર્યો. ડેઇલી મેલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, લોકો જમ્યાના કલાક પછી માંદા પડ્યા હતા. જો કે, કુલ 12 લોકો નાસ્તો ખાવા માટે એકઠા થયા હતા.
રિપોર્ટ અનુસાર, ઝેરી ખોરાક ખાવાની આ ઘટના 5 ઓક્ટોબરની છે. 10 ઓક્ટોબરના રોજ સાત લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે આઠમા વ્યક્તિનું બે દિવસ બાદ મોત નીપજ્યું હતું. છેલ્લા વ્યક્તિનું સોમવારે અવસાન થયું હતું.
પીડિત પરિવાર ઉત્તર પૂર્વ ચીનના હેલોંગજિયાંગમાં રહેતો હતો. આ ઘટના પછી, ચાઇના હેલ્થ કમિશને રાષ્ટ્રીય ચેતવણી જારી કરી છે અને લોકોને આથેલાં લોટથી બનેલું ખાવાનું ટાળવાની સલાહ આપી છે.
નૂડલ ખાધા પછી બીમાર પડી ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. એમ કહેવામાં આવે છે કે ત્રણ લોકોએ તેના વિચિત્ર સ્વાદને કારણે તે દિવસે નૂડલ ખાવાની ના પાડી હતી.