રાજકોટ શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ પત્નીએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના જય જવાન જય કિશાન સોસાયટીમાં ઘર કંકાશને કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે જો કે ચોક્કસ કારણ જાણવા બી ડિવિઝન પોલીસે પરિવારના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
આપઘાત કરવું એ સામાન્ય વાત બની ગઈ હોય તેમ રોજ બરોજ રાજકોટમાં આપઘાતના બનાવોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આજ રોજ રાજકોટ શહેરમાં દંપતીનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મોરબી રોડ પરની જય જવાન જય કિશાન સોસાયટીમાં આ બનાવ બન્યો છે.
બનાવના પગલે પોલીસને જાણ થતાં બી. ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તારણમાં નવદંપતિએ ગૃહ ક્લેશમાં આપઘાત કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે. બાબુભાઈ વીનુભાઈ સોલંકી (ઉ.વ.21) અને તેમના પત્ની મમતાબેન (ઉ.વ.20) એ વહેલી સવારે સાતેક વાગ્યે આત્મહત્યા કરી લીધો હતો જે બાદ બી ડિવિઝન પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પરિવારજનોના નિવેદન નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન બાબુ વીડિયો શૂટિંગનું કામ કરતો હતો અને પાંચ માસ પૂર્વે જ યુવકના લગ્ન થયા હતા અને ઘરમાં નાના મોટા કંકાશ થતા હતા જેના કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.