નૌકાદળમાંથી હટાવવામાં આવેલા ઐતિહાસિક યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટના નવા માલિકે તેને મુંબઈ સ્થિત કંપનીને 100 કરોડ રૂપિયામાં વેચવા માટે તૈયાર છે, જે તેને ડિમોલિશનમાંથી બચાવીને મ્યુઝિયમમાં બદલવા માંગે છે. વિમાનવાહક જહાજ વિરાટને 1987 માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.
તેને વર્ષ 2017 માં નૌકાદળમાંથી દૂર કરવામાં આવ્યુ હતું. જેને બાદમાં શ્રી રામ ગ્રૂપે તે જ વર્ષે હરાજીમાં 38.54 કરોડમાં ખરીદી લીધુ હતુ. ભારતીય દરિયાઇ ધરોહરનું પ્રતીક બનેલું આ યુદ્ધ જહાજ ગત સપ્તાહે ગુજરાતના શિપબ્રેકિંગ યાર્ડમાં પહોંચાડવામાં આવ્યુ હતું.
શ્રીરામ ગ્રુપના અધ્યક્ષ મુકેશ પટેલે જણાવ્યું હતું કે ,હરાજીમાં જહાજને ભંગારની જેમ ખરીદવામાં આવ્યું હોવાથી હવે રસ ધરાવતા ખરીદદારોએ તેને ખરીદવા માટે સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ અનાપત્તિ પ્રમાણપત્ર મેળવવું પડશે.
પટેલે કહ્યું કે, મેં આ યુદ્ધ જહાજ મારા દેશપ્રેમને કારણે ખરીદ્યું હતુ. હવે મુંબઇ સ્થિત એક કંપની આ જહાજને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવા માંગે છે. અહીં પણ દેશપ્રેમને લીધે, હું આ જહાજ વેચવા માટે સંમત થયો, પરંતુ આ માટે તેણે પહેલા અનાપત્તિ પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે. હું તેના વિના તેને ફરીથી વેચી શકું નહીં.
પટેલે કહ્યુ, પહેલાં તો હું તેના 125 કરોડ રૂપિયા માંગી રહ્યો હતો. પરંતુ બાદમાં કંપનીનાં નેક કામનો વિચાર કરતં તેને 125 કરોડ રૂપિયામાં વેચવા માટે તૈયાર થઈ ગયો છું.
તેમણે કહ્યું કે આ ઓફર ફક્ત મર્યાદિત અવધિ માટે છે અને તે ફક્ત આવતા અઠવાડિયા સુધી રાહ જોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, એનવીટેક મરીન કન્સલ્ટન્ટ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વી.કે. શર્માએ વિરાટને ખરીદવામાં રસ દાખવ્યો છે.
આ બીજું વિમાનવાહક જહાજ છે, જેને તોડવાની પ્રક્રિયા શરૂ થવાની છે. નોંધપાત્ર વાત એ છે કે આઈએનએસ વિક્રાંતને 2014 માં મુંબઈમાં તોડી નાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 70 વર્ષ જુનું જહાજ 1982માં રોયલ બ્રિટીશ નેવી દ્વારા આર્જેન્ટિના સામેના વિજયી યુદ્ધમાં ભાગ લઈ ચૂક્યુ છે.