નવી દિલ્હીઃ ગત થોડા સમયથી કોરોના વાયરસના કારણે દેશના લોકોને ઘણી સમસ્યાઓ નડી રહી છે. આ સમસ્યાઓને હલ કરવા માટે જ કેન્દ્રની મોદી સરકાર દ્વારા ઘણાં મહત્વનાં પગલાં ભરવામાં આવ્યાં છે. જેના અંતર્ગત ગત દિવસોમાં પીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 1.70 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
જેના અંતર્ગત લગભગ 20 કરોડ મહિલાઓને સરકાર તેમના જનધન બેન્ક ખાતામાં પૈસામાં ટ્રાન્સફર કરી રહી છે. દરેક મહિલાના ખાતામાં સરકાર દર મહિને 500 રૂપિયા જમા કરાવશે. એટલે ત્રણ મહિનામાં સરકાર કુલ 1500 રૂપિયા ખાતામાં નાખશે.
જોકે દરેકના ખાતામાં એકસાથે પૈસા ટ્રાન્સફર નથી થઈ રહ્યા. જે જનધન મહિલા ખાતાધારકોના ખાતાનો છેલ્લો અંક 0 અને 1 છે, તેમના ખાતામાં ત્રણ એપ્રિલે પૈસા આવી ગયા છે. તો જેમના ખાતા નંબરના અંતિમ અંક 2-3 છે, તેમના ખાતામાં ચાર એપ્રિલે પૈસા નાખવામાં આવ્યા છે. ત્યારબાદ વીકેન્ડના કારણે બેન્ક બંધ છે.
જે લાભાર્થીનો ખાતા નંબરના અંતિમ અંક ચાર-પાંચ છે, તેમના ખાતામાં સાત એપ્રિલે પૈસા નાખવામાં આવશે, આ સિવાય જેમના ખાતાના અંતિમ અંક છ કે સાત છે, તેમના ખાતામાં આઠ એપ્રિલે પૈસા નાખવામાં આવશે.
જેમના ખાતા નંબરના અંતિમ અંક આઠ અને નવ હોય તેમના ખાતામાં નવ એપ્રિલે પૈસા નાખવામાં આવશે. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ ટ્વીટ કરી પૈસા ટ્રાન્સફર કરવાની તારીખોની માહિતી આપી છે.