મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાની પંચાયતોએ એક ગરીબ પરિવારને એવી સજા ફટકારી જે સાંભળી દરેક હેરાન રહી ગયા. ખેડૂત વ્રજગોપાલ પટેલના 15 વર્ષના પુત્રનું કુવામાં ડૂબ જવાથી 9 માર્ચે મૃત્યુ થઇ ગયું હતું. આર્થિક તંગીથી બેહાલ ખેડૂત અને 23 માર્ચથી લોકડાઉન લાગુ થવાને કારણે પોતાના પુત્રના મૃત્યુ બાદ જમણવાર કરાવી શક્યા ન હતા. આવી સ્થિતિમાં મદદ કરવાને બદલે ઉલટું પંચાયતે વ્રજગોપાલને દોષીત ઠેરવી સમાજથી બહાર કરી દીધા.
પંચાયત તરફથી ફરમાન સંભળાવવામાં આવ્યું કે જ્યારે સુધી તે પોતાના પુત્રના મૃત્યુનું ગામલોકોને ભોજન નહીં કરાવે ત્યાં સુધી તે ગામના કોઇપણ વ્યક્તિ સાથે વ્યવહાર રાખી શકશે નહીં. એટલું જ નહીં તે સાર્વજનિક કુવામાંથી પાણી પણ ભરી શકશે નહીં અને કોઇપણ સાર્વજનિક ગતિવિધિઓમાં સામેલ પણ થઇ શકે નહીં.
સમગ્ર ઘટના બાદ ખેડૂત વ્રજગોપાલે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. જો કે પંચાયતના લોકો હજુ પણ ખેડૂત પર ફરિયાદ પરત લેવાનું દબાણ કરી રહ્યાં છે. સાથે જ ધમકી આપી રહ્યાં છે કે આવનારા સમયમાં પંચાયત તરફથી વધુ ગંભીર પરિણામ ભોગવવા પડશે. પંચાયતની ધમકી બાદથી ખેડૂત પરિવાર ડરી ગયો છે અને કોઇ પાસે મદદ પણ માગી શકતો નથી.
બીજી બાજુ પોલીસનું કહેવું છે કે ફરિયાદ મળી ગઇ છે અને આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. પોલીસ દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે. તો ઘટના જગજાહેર થઇ જતા સાગર રેન્જના આઇજી અનિલ શર્માએ ગામમાં જઇને આ બાબતે નિરિક્ષણ કર્યું અને આદેશ આપ્યો કે આ કેસનો ટૂંક સમયમાં જ નિકાલ થાય.
મૃતકના દાદા જગ્ગી પટેલનું કહેવું છે કે લોકડાઉન લાગુ થયા પહેલા તેના પૌત્રનું મૃત્યુ થઇ ગયું. યુવાન પૌત્રના મૃત્યુનું દુઃખ ઉપરથી આર્થિક તંગીના કારણે અમે મૃત્યુભોજ કરાવી શક્યા ન હતા. આથી પંચાયતે તેઓને આવી સખત સજા આપી. પંચાયતની આ સજાથી અમને ઘણી મુશ્કેલી થઇ રહી છે.