મહેસાણામાં એક યુવકના હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. એક યુવકે ત્રણ દિવસ અગાઉ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. જોકે, બાદમાં ત્રણ દિવસ બાદ આજે સવારે યુવકનું મોત થતા સમગ્ર મામલે પરિવારે ડોક્ટર સામે આક્ષેપ કર્યા છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાતી વેબસાઈટ દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા ખડોસન ગામમાં રહેતા 31 વર્ષીય અરવિંદ ચૌધરીએ મહેસાણા શહેરમાં ડો. હિરેન ઓઝા (પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલ)માં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હતા. બાદમાં રજા લઈને યુવક ઘરે ગયો હતો. જેના ત્રણ દિવસ બાદ યુવકનું આજે મોત નિપજતા પરિવારે સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ.એ જણાવ્યું હતું કે, યુવકના ત્રણ દિવસ પહેલા હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે સવારે યુવકનું મોત થતા સમગ્ર મામલો સામે આવ્યો છે. હાલમાં પોલીસે પ્રાઇમરી એક્સિનડેન્ટલ ડેથના આધારે તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે હકીકત પેનલ પીએમ બાદ બહાર આવી શકશે.