ચંદ્રપુરઃ પેટની ભૂખ મિટાવવા માટે દર-બદર ભટકતા લોકો આજે સંકટમાં છે. શહેરમાં રોજી નહીં હોવાના કારણે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના ઔરંગાબાદ ગયેલો એક પરિવાર પોતાના ગામ પાછો આવ્યો તો કોરોનાના ડરથી સગી માતાએ તેને ઘરમાં ના રાખ્યા કે ના ગ્રામ પંચાયતે કોઈ જગ્યા આપી. કોરોના કાળમાં લોહીના સંબંધોનો આનાથી મોટો તિરસ્કાર શું હોય શકે છે. આ ઘટના બાદ તો હવે આ જ સવાલ ઉભો થાય છે.
ચંદ્રપુર જિલ્લાના ગોંડપિપરી તાલુકાના તારસા ગામની આ ઘટનાએ કોરોનાની સામે તમામ સંબંધોને નાના કરી દીધા છે. ચંદ્રપુર જિલ્લાની સીમા પર આવેલું એક નાનું ગામ તારસા છે. આ ગામમાં રોજગાર ના હોવાથી ગામનો એક યુવક પ્રફુલ મિલમિલે કામની શોધમાં નાની બાળકી અને પત્ની સાથે ઔરંગાબાદ ગયો હતો. ઔરંગાબાદમાં પોતાનું ભરણપોષણ કરવા દરમિયાન બીમારી અને લૉકડાઉનનું સંકટ ઉભું થઈ ગયું.
એમાંથી જ રસ્તો કાઢીને જીવલેણ સફર ખેડીને યુવક પરિવાર સાથે પોતાના ગામ પહોંચ્યો, પરંતુ કોરોનાના ડરથી માતાએ દીકરા અને તેના પરિવારને ઘરમાં રાખવાનો ઈન્કાર કરી દીધો.
કોઈ રસ્તો ના જોવા મળતા દીકરાએ પોતાને ક્વોરન્ટીન કરવા માટે ગ્રામ પંચાયતને શાળા ખોલવાની વિનંતી કરી પરંતુ ગ્રામ પંચાયતે પણ તેમને સહારો આપવાની ના પાડી દીધી.
ત્રણ કલાક સુધી યુવક પોતાની બાળકી અને પત્ની સાથે તાપમાં ગ્રામ પંચાયતની સ્કૂલ સામે પડ્યો રહ્યો. કોઈએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી. પોલીસે સમજાવ્યા બાદ ત્રણ કલાક બાદ ગ્રામ પંચાયતે સ્કૂલ ખોલી અને રહેવાની વ્યવસ્થા કરી. ભોજન લઈને ખુદ માતા પહોંચી અને પોતાના ભૂખ્યા દીકરા-વહૂ અને તેના સંતાનને ભોજન કરાવ્યું.
મામલાનું સમાધાન કર્યા બાદ માતાની મમતા જાગી અને ગામના લોકોના પ્રેમને કારણે સ્કૂલમાં જગ્યા મળી. ભારતના ગામડા મહેમાનગતિ માટે જાણીતા છે. હૂંફ, મમતા, પ્રેમ જ તેની ઓળખ છે, પરંતુ કોરોનાના ડર આગળ ગામના લોકોએ પણ તિરસ્કારની વાટ પકડી છે. કોરોના તો વધુ સમય માટે નહીં રહે પરંતુ સંબંધો વચ્ચેની આ ખાઈ લાંબા સમય સુધી રહેશે.