અભિનેતા સંજય દત્ત લંગ કેન્સરની ગંભીર બીમારીથી ગ્રસિત હોવાની વાત સામે આવી છે. આ કોઇ ફિલ્મની કહાની નહીં પરંતુ અસલ જીવનમાં બીમારીની મુસીબતમાં સંજુ ફસાયા છે. પરંતુ એ પણ હકિકત છે કે સંજુની રિયલ લાઇફ કોઇ ફિલ્મથી ઓછી નથી રહી. નાની ઉંમરમાં માતાનું મૃત્યુ, ડ્રગ્સની લત અને જેલ જવા સુધી સંજયના જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા. આવો એક નજર કરીએ સંજયના જીવનના સફરનામા પર.
સંજય દત્તે પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત એક ચાઇલ્ડ એક્ટરથી કરી હતી. સૌથી પહેલા તેઓ રેશ્મા ઔર શેરા ફિલ્મમાં નજર આવ્યા હતા. આ ફિલ્મ 1972માં રીલિઝ થઇ હતી. ત્યારબાદ 1981માં સંજયે રોકી ફિલ્મથી પહેલીવાર પોતાના એક્ટર તરીકેના કરિયરની શરૂઆત કરી. પ્રથમ ફિલ્મે સંજયને રાતોરાત સ્ટાર બનાવી દીધો.
સંજયના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો જ્યારે્ તેની માતા નરગિસનું નિધન થઇ ગયું. અચાનકર થયેલી માતાના મોતથી સંજયના જીવનમાં ભૂચાલ આવી ગયો. માતાના મૃત્યુ બાદ સંજય સંપૂર્ણ રીતે ડ્રગ્સના નશામાં ડૂબી ગયા. આ લતે સંજુને અંદરથી સંપૂર્ણ રીતે તોડી નાખ્યા. જો કે પિતા સુનિલ દત્તે પોતાના લાડલાને આવી રીતે બરબાદ થતો જોઇ તેને સુધારવા માટે દિવસ-રાત એક કરી દીધા. સુનીલ સારવાર માટે સંજુને અમેરિકા લઇ ગયા જ્યાં બે વર્ષની સારવાર બાદ તેમની વાતપી માયાનગરીમાં થઇ.
બોલીવીડમાં વાપસી બાદ સંજુએ અનેક હિટ ફિલ્મો આપી. 1987માં તેઓએ ઋચા શર્મા સાથે લગ્ન કરી લીધા. પરંતુ લગ્નની ખુશી વધુ સમય સુધી ચાલી નહીં. લગ્નના નવ વર્ષ બાદ બ્રેન ટ્યુમરના કારણે ઋચાનું મૃત્યુ થઇ ગયું. ઋચાના મોત બાદ સંજય ફરીએકવાર એકલા થઇ ગયા અને તેમના ફિલ્મી ગ્રાફ પણ નીચે આવી ગયો. જો કે થોડા સમય બાદ સંજુએ રિયા પિલ્લઇ સાથે બીજા લગ્ન કરી લીધા. પરંતુ આ લગ્ન વધુ દિવસ સુધી ચાલી નહીં અને ટૂંક સમયમાં બંને વચ્ચે તલાક થઇ ગયા.
સંજયના જીવનમાં એ સમયે ભુચાલ આવ્યો જ્યારે 1993માં મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં નામ ખુલ્યુ અને તેમની ધરપકડ કરવામાં આવી. એ સમયે મોરિશસમાં ફિલ્મ આતિશની શૂટિંગ ચાલી રહી હતી પરંતુ બોમ્બ બ્લાસ્ટમાં નામ આવવાના કારણે તેઓને મુંબઇ પરત આવવું પડ્યું જ્યાં એરપોર્ટ પર જ તેમની ધરપકડ કરી લેવામાં આવી.
સંજય પર પોતાના ઘરમાં હથિયાર રાખવાનો આરોપ હતો જો કે પુછપરછમાં સંજયે હથિયાર રાખવા અને અબુ સલેમ તેના ઘરે આવ્યો હોવાની વાત કબૂલી પણ હતી. ત્યારબાદ સંજય પર ટાડા કાયદા અંતર્ગત કેસ ચલાવવામાં આવ્યો અને તેને છ વર્ષની જેલ થઇ ગઇ.
1993થી લઇને 2006 સુધી સંજુને આતંકવાદી કહી બોલાવવામાં આવતો હતો પરંતુ વર્ષ 2006માં મુંબઇ બોમ્બ બ્લાસ્ટ મામલાની સુનાવણી કરી રહેલી ટાડા કોર્ટે કહ્યું કે સંજય આતંકવાદી નથી અને તેણે પોતાના ઘરમાં ગેરકાનુની રાયફલ પોતાની સુરક્ષા માટે રાખી હતી. સંજય પર ટાડાના આરોપ ખતમ કરવામાં આવ્યા અને તેમને આર્મ્સ એક્ટ અંતર્ગત દોષિત કરાર કરવામાં આવ્યા.
2006માં ભલે સંજુને ટાડા વિરુદ્ધ રાહત મળી ગઇ પરંતુ તેમનું ફિલ્મી કરિયર સંપૂર્ણ રીતે ખતમ થઇ ગયું હતું. જો કે ફિલ્મ મુન્નાભાઇ MBBSથી ફરી તેમની વાપસી થઇ અને પોતાના કામથી બધાની બોલતી બંધ કરી દીધી. ત્યારબાદ 2008માં સંજુએ માન્યતા સાથે લગ્ન કરી લીધા. અહીંથી સંજયે પાછુ વળીને જોયું નહીં અને બોલીવૂડમાં પોતાની બીજી ઇનિંગ્સ શરૂ કરી. સંજયના જીવન પર બોલીવૂડ ફિલ્મ પણ બની ચૂકી છે. 2018માં તેમના જીવન પર બનેલી ફિલ્મ સંજુમાં રણબીર કપૂરે સંજય દત્તનો રોલ કર્યો હતો.