નવી દિલ્હીઃ કોરોનાવાઈરસની મહામારી પર કાબુ મેળવવા માટે વેક્સીન અને દવા બનાવવા માટે દુનિયાભરમાં અનેક દેશોમાં સતત પ્રયાસો ચાલી રહ્યાં છે. ભારત પણ વિવિધ પ્રયોગો કરી રહ્યું છે. હાલમાં જ ભારતમાં કોરોનાવાઈરસ સંક્રમણની સારવાર માટે નવી દવાના ટ્રાયલની મંજુરી આપવામાં આવી છે.
આ દવાનું નામ છે સેપ્સિવૈક, જેનું નિર્માણ કેડિલા ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડે કર્યું છે. તેની ટ્રાયલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ એન્ડસ્ટ્રિયલ રિસર્ચના સહયોગથી ત્રણ હોસ્પિટલમાં કોરોનાના દર્દી પર કરવામાં આવશે. ટ્રાયલ માટે ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાની મંજુરી મળી ગઇ છે.
સેપ્સિવૈક નામની આ દવાના ટ્રાયલ માટે દેશની ત્રણ હોસ્પિટલ પસંદ કરવામાં આવી છે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ચંદીગઢ, ઓલ ઇન્ડિયા ઇન્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી અને ભોપાલ સ્થિત એક હોસ્પિટલનો સમાવેશ થાય છે.
સીએસઆઇઆરના ડિરેક્ટર ડોક્ટર શેખર સી. મંડેનું કહેવું છે કે ત્રણ હોસ્પિટલમાંથી એકને ટ્રાયલ માટે એથિક્સ કમિટી પાસેથી મંજુરી મળી ગઇ છે. બાકી બે હોસ્પિટલોને પણ મંજુરી મળી જશે. ત્યારબાદ ઝડપથી ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે.
દવાની સૌપ્રથમ ટ્રાયલ કોરોના 50 ગંભીર દર્દી પર કરવામાં આવશે. સીએસઆઇઆરે ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયામાંથી ત્રણ અલગ-અલગ ટ્રાયલની મંજુરી માગી છે. પહેલા ટ્રાયલ કોવિડ-19ના એવા દર્દી પર થશે, જેની સ્થિતિ ગંભીર છે અને જે આઇસીયુમાં ભરતી છે. બીજી ટ્રાયલ એવા દર્દી પર થશે, જે આઇસીયુમાં નથી અને ત્રીજી ટ્રાયલ એવા લોકો પર થશે, જે કોરોના ઇન્ફેક્શનથી સાજા થઇ ચૂક્યા છે. આ લોકો પર દવાના ટ્રાયલ પાછળ ઉદેશ્ય એવો છે કે ફરીથી કોરોના ન થયા. સીએસઆઇઆરે દવાના ટ્રાયલની મંજુરી આપી દીધી છે.
સેપ્સિવૈક દવાનો ઉપયોગ એન્ટી ગ્રામ સેપ્સિસમાં કરવામાં આવે છે. તેને કેડિલા ફાર્માસ્યૂટિકલ્સે બનાવી છે. આ દવાનું નિર્માણ સીએસઆઇઆરના સહયોગથી ગ્રામ-નેગેટિવ સેપ્સિસના દર્દીની સારવાર માટે કરવામાં આવ્યું છે.
ગ્રામ-નેગેટિવ સેપ્સિસ અનેક પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્સનના કારણે થાય છે. આ દવા તેની સારવાર માટે કારગર નીવડી છે. આ ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે. આથી કોવિડ-19ની સારવાર માટે તેનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ દવાને સેપ્સિસ અને સેપ્ટિક શોકમાં ઇમ્યુનોથેરેપીની સારવાર માટે ડીસીજીઆઇમાંથી મંજુરી મળી ગઇ છે.