અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય સગીરા ઘર છોડીને ફરાર થઈ ગઈ. ઘર છોડીને જવા પાછળનું કારણ છે પ્રેમ. આ યુવતી એક યુવકના પ્રેમમાં છે અને તેના કારણે તે પ્રેમી યુવક સાથે ગુમ થઈ ગઈ. જો કે જતા પહેલા તેણે એક ચીઠ્ઠી લખી છે. જેમાં તેણે પિતાની માફી માગતા લખ્યું કે, SORRY પપ્પા, હું એક યુવકને ખૂબ જ પ્રેમ કરું છું અને તેની સાથે તેણે લગ્ન કરી લીધા છે. તેથી મને શોધતા નહીં. તમે મને ખરાબ માની એટલે કે મરી ગયેલી માની ભૂલી જજો. આ મામલે ચિંતાતુર પિતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરા અને તેને ભગાડી જનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ગોમતીપુર વિસ્તારમાં 45 વર્ષીય વ્યક્તિ પરિવાર સાથે રહે છે. જેમાં પત્ની, બે દીકરી અને એક દીકરા છે. સૌથી મોટી દીકરી 17 વર્ષની છે. શનિવારે પતિ-પત્ની સવારે બંને કામ પર ગયા ત્યારે ત્રણેય બાળકો ઘરે હતા. બપોરે પિતા જમવા માટે આવ્યા ત્યારે મોટી દીકરી ગુમ હતી. જેથી આસપાસમાં શોધખોળ કરતા મળી આવી ન હતી.
પિતાને શંકા જતાં તેમણે દીકરીના રૂમમાં શોધખોળ કરતા તેની એક નોટબુકમાં ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે ” પપ્પા SORRY હું તમારી ઈજ્જત નથી ઉછાળવા માંગતી હતી પણ હું એક છોકરાને પ્રેમ કરવા લાગી હતી. તમે ના માનતા એટલે અમારે ભાગવાનું રિસ્ક લેવું પડ્યું. SORRY પપ્પા મને શોધવાની કોશિશ ન કરતા કેમ કે હું તેને એટલો LOVE કરું છું કે તેની સાથે મેં મંદિરમાં લગ્ન કરી લીધા છે. તે અહિયાંનો છોકરો નથી એટલે મને અને તેને અહિયા શોધતા નહિ.
સગીરાએ ચીઠ્ઠીમાં આગળ એવું લખ્યું છે કે, પપ્પા એવું સમજજો કે તમારે એક જ છોકરી છે અને બીજી હતી એ મરી ગઈ. પોલીસ કેસ કરવાની કોઈ જરૂર નથી. કારણ કે હું તેની સાથે ખુશ છું. SORRY તમને હર્ટ કરવા માટે, પણ પ્લીઝ મને શોધતા નહિ.
ચિઠ્ઠીમાં માફી માગી પ્રેમી સાથે જતી રહેનાર દીકરીને શોધવા માટે પિતાએ વિવિધ સ્થળોએ તપાસ કરી હતી. પરંતુ લાડકવાયી દીકરી મળી ન આવતા પિતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યાં શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.