રાજ્યના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ત્રણ ગામમાં આકાશમાંથી ગોળાઓ જેવી રહસ્યમયી વસ્તુઓ જમીન પર પડી હતી. જેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગેની જાણકારી સ્થાનિક પોલીસને આપવામાં આવી હતી. સૂચના મળ્યા બાદ પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે લોકોને ગોળાકાર વસ્તુ પાસેથી દૂર હટાવ્યા હતા. પોલીસે બાદમાં એફએએસએલની ટીમને બોલાવી હતી. એફએએસએલની ટીમ તપાસમાં લાગેલી છે.
હિન્દી ન્યૂઝ વેબસાઈટ આજતકના અહેવાલ પ્રમાણે ઉમરેઠ તાલુકાના જીતપુરા, સીલી, દાગજીપૂર અને ખાનકુવા ગામોમાં ત્રણ ગોળ મોટા પદાર્થ જમીન પર પડ્યા હતા. જે જોવામાં રહસ્યમયી લાગતી હતી. જેના કારણે લોકોમાં ડરનો માહોલ બન્યો હતો. આ અંગેની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લોકોને દૂર હટાવ્યા હતા.
સીલી ગામમાં કાચા મકાન પર આકાશમાંથી ગોળ ધાતુનો દડો પડતા સામાન્ય નુકસાન થયુ છે. આ સાથે ખંભોળજ, ભાલેજ પોલીસ સ્થળ પર પહોંચી આકાશમાંથી પડેલા ગોળ દડાને કબજે લીધા છે
પ્રાથમિક તપાસમાં આ વસ્તુઓ સેટેલાઈટ પાર્ટ હોવાનું અનુમાન છે. આ ઘટના ગુરૂવાર સાંજના 4થી 5 વાગ્યા વચ્ચેની છે. પોલીસે ઘટના સ્થળે એફએએસએલની ટીમને બોલાવી છે, જે તપાસ હાથ ધરી રહી છે.
નોંધનીય છે કે 2 એપ્રિલ, 2022ની સાંજે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પણ આકાશમાથી આગના ગોળા પડ્યા હતા. પહેલાં તો લોકોને લાગ્યું કે આ કોઈ ઉલ્ટાપિંડ છે, પણ સવારે જ્યારે ગામના લોકોને ઘાતુઓના કેટલાક ટૂકડા મળ્યા તો અનુમાન લગાવવામાં આવ્યું કે આ કોઈ રોકેટનો ભાગ છે.