છપરા: દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે જ્યાં બધા ધંધા બંધ છે અને લોકો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે એવામાં માનવતાને જીવતા રાખતા કિસ્સાઓ પણ જોવા મળી રહ્યાં છે. બિહારના હાઈવે સંચાલકે બિહાર-યુપીની સરહદે નેશનલ હાઈવે સ્થિત હોટલમાં 10-20 નહીં પરંતુ 500 જેટલા લોકોને નિ:શુલ્ક જમાડી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સરહદે માંઝી પાસે નેશનલ હાઈવે 19 પર સ્થિત હોટલના માલિકે લૉકડાઉન બાદથી હોટલનું કેશ કાઉન્ટર ગ્રાહકો માટે બંધ કરી દીધું છે.
મજૂરોને જમાડવા મુદ્દે હોટલ માલિકે કહ્યું કે- આ કાર્ય કરવાથી તેના જીવને સંતોષ મળે છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશના માર્ગ પરથી મોટી સંખ્યામાં મજૂરો રોજ બિહાર અને ઝારખંડ તરફ જઈ રહ્યાં છે. મજૂરોને ઘણા દિવસો સુધી ભૂખા રહેવાનો વારો આવે છે પરંતુ હોટલ માલિક બસંત સિંહે તેમની આ સમસ્યાને અમુક અંશે ઉકેલવાનો પ્રયાસ કર્યો છે.
એકલા શરૂઆત કરી, હવે લોકો સપોર્ટ કરી રહ્યાં છેઃ હોટલ માલિક બસંત સિંહે કહ્યું કે, તેણે પોતાની લાઈન હોટલને લંગરમાં ફેરવી દીધી, જ્યાં ભોજન કરનાર પાસેથી કોઈ પૈસા લેવાતા નથી. અહીં રોજ 500થી વધુ લોકોને ભોજન કરાવવામાં આવે છે. હોટલ માલિકના આ કાર્યમાં ગામના લોકો પણ સપોર્ટ કરી રહ્યાં છે.
સરકારે નેશનલ હાઈવે પર ઘણી લાઈન હોટલ ખોલવાનો આદેશ આપ્યો છે પરંતુ આ હોટલના માલિકે આદેશ કરતા માનવતાને વધુ મહત્ત્વ આપ્યું અને ગરીબોને ભોજન આપવાનું કાર્ય બંધ ના કર્યું. આ હોટલના પ્રયાસથી અહીંથી પસાર થતા ઘણા લોકોને ભોજન મળી રહ્યું છે.
જમાડ્યા બાદ આગળની યાત્રા માટે પણ ભોજન આપે છેઃ રાંધેલુ ભોજન મળ્યા બાદ મજૂરોના ચહેરા પર જે રાહત જોવા મળે છે તેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. ઝારખંડ પરત ફરી રહેલા કયુમ શેખ અને મદીના બીબીએ કહ્યું કે- બલિયાથી પગપાળા યાત્રા કર્યા બાદ છપરા આવવા પર બસંત સિંહે તેમને બોલાવ્યા અને જમાડ્યા, જેને કારણે તેમને ઘણી રાહત મળી હતી, કારણ કે ઘણા સમય બાદ આટલું સ્વાદિષ્ટ ભોજન મળ્યું હતું.
40 લોકોના ગ્રૂપને બસંત સિંહે માનભેર જમાડ્યા અને સુકો નાસ્તો પણ તેમને આપ્યો જેથી આગળની યાત્રામાં તેમને કોઈ સમસ્યા ના થાય. બસંત સિંહે કહ્યું કે, તેમણે અગાઉ એકલા જ કામ શરૂ કર્યું હતું. પરંતુ હવે ગામના લોકો શારીરિક અને આર્થિક બંને રીતે સપોર્ટ કરી રહ્યાં છે.