ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની લોની સ્થિત ઉત્તરાંચલ વિહાર કોલોનીમાં રવિવાર, 18 જુલાઈની મોડી સાંજે ઘરની અંદર મહિલા પ્રિયા (26), દીકરી નવ્યા (5) તથા 40 દિવસના પુત્રની ડેડબોડી મળી હતી. પ્રિયા તથા નવ્યા ફાંસીએ લટકતા હતા અને નવજાતની લાશ પલંગ પર પડી હતી. તે સમયે ઘરમાં કોઈ હાજર નહોતું. પતિ અરવિંદ દૂધ લેવા ગયો હતો.
પોલીસે તપાસ કરી રહી છે કે મહિલાએ પહેલાં બાળકોની હત્યા કરીને આત્મહત્યા કરી કે ત્રણેયની હત્યા કરવામાં આવી. ઘટનાસ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. શા માટે મહિલાએ આવું પગલું ભર્યું તે હજી સુધી સ્પષ્ટ નથી. શામલીમાં રહેતા ચરણસિંહનો પુત્ર અરવિંદ પત્ની તથા બે બાળકો સાથે છેલ્લાં 7-8 વર્ષથી રહે છે.
અરવિંદનો મોટો ભાઇ મિત નજીકમાં જ ગલી નંબર 15માં રહે છે. અરવિંદ જનરેટરમાંથી વીજળી સપ્લાય તથા પ્રોપર્ટી ડીલર તરીકે કામ કરે છે. પોલીસે કહ્યું હતું કે અરવિંદ મોડી સાંજે ઘરેથી માર્કેટ દૂધ લેવા ગયો હતો. અરવિંદે કહ્યું હતું કે તે જ્યારે દૂધ લઈને પરત ફર્યો ત્યારે બારસાખ પર પ્રિયાની ડેડબોડી રસ્સી સાથે અને નવ્યાની લાશ દુપટ્ટા સાથે લટકતી હતી. અંદરના રૂમમાં 40 દિવસનો દીકરો બેડ પર હતો. તેના ગળા પર દુપટ્ટા કે રસ્સી બાંધેલા નહોતા, પરંતુ ગળા પર ઊંડા નિશઆન હતા. તે ઓટોમાં ત્રણેયને દિલ્હીના ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ લઈ ગયો હતો. ડૉક્ટર્સે ત્રણેયને મૃત ઘોષિત કર્યા હતા. હોસ્પિટલના સ્ટાફે લોની બોર્ડર પોલીસ સ્ટેશનને આ અંગે માહિતી આપી હતી.
પતિ પર હત્યાનો આરોપઃ પ્રિયાના પિતા અરૂણ દહિયા છેલ્લાં 12 વર્ષથી ગુમ છે. તેની માતા પૂનમે અરવિંદ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આરોપ છે કે અરવિંદે જ ત્રણેયની હત્યા કરી છે. પ્રિયા તથા અરવિંદ વચ્ચે ઝઘડો ચાલતો હતો. અરવિંદના અન્ય સ્ત્રી સાથે સંબંધો છે. પ્રિયાએ આનો વિરોધ કર્યો હતો. તેને રસ્તામાંથી હટાવવા માટે અરવિંદે જ પત્ની અને સંતાનોની હત્યા કરી નાખી હતી. દહેજ માટે હેરાન કરતો હોવાનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો છે. પોલીસે અરવિંદની પૂછપરછ કરી હતી. અરવિંદને પૂછવામાં આવ્યું હતું કે તેણે પહેલાં કેમ પોલીસને માહિતી ના આપી.
અરવિંદે પોલીસને એમ કહ્યું હતું કે તેને એમ લાગ્યું કે હોસ્પિટલ લઈ જવામાં આવે તો શક્ય છે કે ત્રણેય જણા બચી જાય. ડોક્ટરે ત્રણેયના મોત થયાની વાત કરી તો તે સાવ ભાંગી પડ્યો હતો.
એપસી દેહાત ડૉ. ઇરજ રાજાએ કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ખ્યાલ આવશે કે ત્રણેય હત્યા થઈ છે કે મહિલાએ બાળકો સાથે આત્મહત્યા કરી છે. ત્યારબાદ તપાસ આગળ વધારવામાં આવશે. પોલીસે અનેક લોકોની પૂછપરછ કરી, પરંતુ હજી સુધી મહિલા સાથે કેમ આવું થયું, તેનું કારણ જાણી શકાયું નથી.