ગાંધીનગર સહિત રાજ્યમા એક માસૂમનો કેસ બહુ ચર્ચિત બન્યો હતો. બાળકની માતાનુ મોત, પિતા જેલમા અને દાદાએ કસ્ટડી લેવાની ના પાડતા બાળકને બાળ ગૃહમાં રાખ્યો હતો. તે સમય દરમિયાન તેને દત્તક આપવાની પ્રક્રિયા વિભાગ દ્વારા શરૂ કરી દેવામા આવી હતી. તરછોડાયેલા અને માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધેલા બાળકને હવે કાયમી સરનામુ મળી ગયુ છે. મધ્ય ગુજરાતના એક પરિવાર દ્વારા તેને દત્તક લેવામા આવ્યો છે. રાજ્યના પાટનગરમા ગત 8 ઓક્ટોબર 2021ની રાત્રે પેથાપુરની ગૌશાળાના દરવાજા પાસે આશરે એક વર્ષિય દેવરૂપ બાળકે તરછોડવામા આવ્યુ હતુ.
બાળકની જનેતાને શોધવા માટે પોલીસે સોશિયલ મીડિયા સહિતનો સહારો લીધો હતો. જ્યાર બાળક તરછોડ્યાના 48 કલાકમા સમગ્ર ઘટનાએ વળાંક લીધો હતો. ઝડપથી સમાચાર ફેલાઇ જતા જનતા બાળકના ચહેરાને જોઇને નિ:સાસા નાખતી હતી. બાળકની માતાનુ ખૂન કરવા બદલ પિતાને જેલની સજા થઇ હતી બાદમાં દાદાને માસૂમ સોપવાની વાત કરી હતી. પરંતુ દાદાએ બાળકની કસ્ટડી લેવાનો ધરાર ઇનકાર કરી દીધો હતો. માસૂમને સારુ જીવન મળે તે માટે સરકારી વિભાગ દ્વારા તાબડતોડ બાળ સંભાળ ગૃહ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી (CARA) દ્વારા માસુમને દત્તક આપવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામા આવી હતી. માસુમને ભાવતો શિરો પીરસવામા આવતો હતો અને દૂધ પીધા પછી જ આરામ કરતો હતો. તેવા રૂપાળા બાળકને નવા માતા પિતાને આપવા વિભાગના જૂજ અધિકારીઓની હાજરીમા કાર્યવાહી પૂરી કરી હતી.
મધ્ય ગુજરાતના એક શહેરમા રહેતા દંપતી દ્વારા માસુમને દત્તક આપવામા આવ્યો હતો. આ દંપતીને સંતાનમા એક દિકરી જ હતી, જ્યારે આર્થિક રીતે ખૂજ સદ્ધર છે. દિકરાની આશા રાખતા દંપતી દ્વારા આશરે ત્રણ વર્ષ પહેલા બાળક દત્તક લેવા માટે અરજી કરી હતી. જેને કારા દ્વારા મંજૂર કરાયા પછી માસુમને નવુ સરનામુ અને નવુ નામ મળ્યુ છે. હવે બહુ ચર્ચિત માસૂમ તેના નવા માતા-પિતા સાથે કિલ્લોલ કરી રહ્યો છે.