અમદાવાદમાં એક હેવાન પિતાની હેવાનિયત સામે આવી છે. જેમાં પિતાએ સગી દીકરીને બાળી પોટલામાં ભરી રેલ્વે ટ્રેક પર ફેંકી દીધી. આ હત્યાનું કારણ હતું દીકરીનું પ્રેમ પ્રકરણ. પિતાએ પ્રેમ કરવાની સજા આપતા પ્રેમમાં અંધ દીકરીએ આપઘાત કરી લીધો. જેથી યુવતીના મૃતદેહને પિતાએ પેટ્રોલ છાંટી સળગાવી દીધો. જો કે યુવતીની કાનની બુટ્ટી પોલીસને આરોપી સુધી લઈ ગઈ અને પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપી પિતાની ધરપકડ કરી.
આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રેલવે-ટ્રેક પર એક યુવતીની લાશ બળેલી હાલતમાં મળી આવી હતી. આ મામલે પોલીસે પ્રાથમિક તપાસમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આ લાશ 20 થી 22 વર્ષની યુવતીની લાગતી હતી. પરંતુ લાશ મોટા ભાગની બળેલી હોવાથી તેની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી રહી હતી. પોલીસ પણ અસમંજસમાં હતી કે આ યુવતી કોણ છે અને ક્યાંની છે.
પોલીસે આ વિસ્તારમાં આવેલી ચાલીમાં તપાસ કરી. એટલું જ નહીં, બાતમીદારોને પણ દોડાવ્યા. આ તમામ પાસેથી મળેલી માહિતીના આધારે તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે એક પરિવાર આ બનાવના બીજા દિવસથી ગાયબ છે. પોલીસે તપાસ કરતા આ ઘરમાં રહેતી યુવતી ભારતીનો ફોટો મળ્યો અને તે ફોટોમાં યુવતીએ કાનમાં જે બુટ્ટી પહેરી હતી તે જ બુટ્ટી લાશ સાથે મળતી આવતી હતી. આખરે પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચી અને યુવતીના પિતા જગદીશ સિંહની પૂછપરછ કરતાં આ કેસ ઉકેલાયો. પરંતુ યુવતીના પિતાએ જે નિવેદન આપ્યું તેને સાંભળ્યા બાદ પોલીસે પણ ચોંકી ઉઠી.
પોલીસને જાણવા મળ્યું કે મૃતક યુવતી ભારતી રાજપૂતને આ વિસ્તારમાં એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. જેથી ભારતીને તેના પિતાએ માર મારીને ઠપકો આપ્યો હતો. આ બનાવ બાદ ભારતીને લાગી આવતા તેમણે પોતાના જ ઘરમાં બીજા રૂમમાં પંખા સાથે દુપટ્ટા વડે આપઘાત કરી લીધો હતો. જો કે તેના મોત બાદ તેના પિતા તથા બે અન્ય સાથીઓએ ભેગા મળીને બાઈકમાંથી પેટ્રોલ કાઢીને યુવતીનો મૃતદેહ સળગાવી દીધો હતો.
આ લોકોએ ભેગા મળીને લાશ કોથળામાં ભરીને મોડી રાતે રેલવે-ટ્રેક પર નાખી દીધી હતી. ત્યારબાદ બધા તાત્કાલિક અમદાવાદ છોડીને પોતાના વતન ઉત્તર પ્રદેશ જતા રહ્યા હતા. હાલ આ સમગ્ર પ્રકરણમાં પોલીસે યુવતીના પિતા જગદીશ સિંહની ધરપકડ કરી વધુ તપાસ કરી રહી છે.