Only Gujarat

Gujarat

રાજકોટના ડૉક્ટરે પ્રેક્ટિસ છોડીને ઓર્ગેનિક ખેતી શરૂ કરી, વર્ષે કરે છે આટલા લાખની કમાણી

રાજકોટના તબીબે પ્રેક્ટિસ મૂકીને પોતાના ગામમાં જઇને ખેતી શરૂ કરી છે. ડો.રમેશ પીપળિયા વ્યવસાયે ડેન્ટિસ્ટ છે, પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાના શોખને કારણે તેમણે રાજકોટ નજીક જશવંતપુર ગામે તેના બાપ-દાદાની 20 વીઘા જમીનમાં 12થી 15 ગીર ગાય વસાવી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી બીજા ખેડૂતોને પ્રેરણા મળે એવા આવિષ્કારો કર્યા છે. ડો.રમેશ પીપળિયાએ તેમની પ્રાકૃતિક ખેતી અંગે જણાવ્યું હતું કે તેમણે 7 વર્ષ પહેલાં જશવંતપુર ગામે 20 વીઘાની જમીનમાંથી 10 વીઘામાં ટિશ્યૂકલ્ચર પદ્ધતિથી ખારેકનું વાવેતર કર્યું હતું. તેઓ 5 વર્ષથી ખારેકનું ઉત્પાદન મેળવે છે. આ વર્ષે ખારેકની ખેતીમાંથી 8 લાખની કમાણી કરી છે.

ડો.રમેશ પીપળિયાએ જણાવ્યું હતું કે મેં 10 વીઘા જમીનમાં 7 વર્ષ પહેલાં ખારેકનું વાવેતર કર્યું હતું, ત્યારે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. હું પહેલાં રાજકોટમાં બસ સ્ટેન્ડની સામે જ ડો.રમેશ પીપળિયાના નામથી હોસ્પિટલ ચલાવતો અને પ્રેક્ટિસ કરતો, પરંતુ ખેતીના શોખને કારણે મેં પ્રેક્ટિસ છોડી દીધી અને મારા ગામ જસવંતપુરામાં આવી ગયો અને ખારેકની ખેતી કરવાનું નક્કી કર્યું. ખારેકની ખેતી વિશે મેં યુટ્યૂબમાંથી માહિતી મેળવી હતી. એકવાર ખારેકના રોપા વાવો અને યોગ્ય જતન કરો તો એ ઝાડ બનીને 60થી 70 વર્ષ સુધી ઉત્પાદન આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું મારા બાપ-દાદાની 20 વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છું. ખારેકના રોપા મેં ગાયના ગોબરમાંથી બનેલા ખાતરમાંથી જ ઉછેર્યા છે તેમજ ડ્રિપ ઇરિગેશન પદ્ધતિને કારણે પાણીનો ખોટો બગાડ પણ થતો નથી અને જરૂરી પાણી મળી રહે છે. મેં ઇઝરાયેલ બારાહી ખારેકના રોપા વાવ્યા હતા અને છેલ્લાં પાંચ વર્ષથી સારુંએવું ઉત્પાદન મેળવી રહ્યો છું.

તેમણે જણાવ્યું હતું કે ગાય આધારિત અને સંપૂર્ણ નેચરલ ખાતરનો ઉપયોગ કરવાથી બીજી કોઇ દવાનો ઉપયોગ કરવો પડતો નથી. એક એકર જમીનમાં ખારેકના 60 ઝાડ વાવવામાં આવ્યાં છે, એટલે કે 4 એકર જમીનમાં 240 ખારેકનાં ઝાડ વાવ્યાં છે. દરેક ઝાડ પર માર્ચ મહિનાથી ખારેક આવવાનું શરૂ થાય છે અને જૂન-જુલાઈમાં ખારેક પાકી જતાં એનો ઉતારો લેવામાં આવે છે. આ વર્ષે એક ઝાડ પર 50થી 60 કિલો ખારેકનો ઉતારો આવ્યો હતો. આ રીતે 10 વીઘા જમીનમાં કુલ 10 હજાર કિલોથી વધુ ખારેકનું ઉત્પાદન થયું છે. અન્ય પાકના પ્રમાણમાં તેઓને ખારેકમાં મબલખ ઉત્પાદન મળ્યું છે.

ખારેકની આવક સાતત્યપૂર્ણ રહે છે અને હવામાનની કોઈ ખાસ અસર થતી નથી, એમ જણાવતાં ડો.રમેશ કહે છે, જો નાનો ખેડૂત તેની ટૂંકી જમીનમાં ખારેક વાવે તો એક-બે વીઘા જમીનમાં પણ દોઢ-બે લાખનું ઉત્પાદન આરામથી મેળવી શકે છે, કારણ કે પ્રાકૃતિક ખેતી અને સ્ટાન્ડર્ડ કંપનીના ટિશ્યૂકલ્ચર પાકથી બધી જ ખારેકમાં મીઠાશ જળવાય રહે છે અને ખેડૂત પોતે મહેનત કરી રિટેલ વેચાણ કરે તો વધારે ફાયદો થાય છે.

આ ઉપરાંત ખારેકનાં બે ઝાડ વચ્ચે વધારે અંતર રહેતું હોવાથી આંતર ખેતીથી પણ પૂરક આવક મેળવી શકાય છે. ઇઝરાયેલી પદ્ધતિથી ખારેકનાં ઝાડ વચ્ચે હવે આંબાના વાવેતરના પ્રયોગો પણ સફળ થયા છે, એમ જણાવતાં ડો. રમેશે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં હવે પાણી અને વીજળીનો વિસ્તાર વધ્યો છે. એટલે બાગાયતી પ્રાકૃતિક ખેતી પણ ખેડૂતો માટે નિયમિત અને કાયમી રોજગારીનું માધ્યમ બની શકે છે.

ડો.રમેશે સરકારી સબસિડી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખારેકની ખેતીમાં એક રોપાદીઠ નોંધપાત્ર સબસિડી પણ મળે છે અને 33 ટકા જેટલા ખર્ચમાં પણ રાહત મળે છે. ખારેકની ખેતીમાં બહુ પાણીની પણ જરૂર રહેતી નથી. મેં 10 વીઘા ખારેકનો પાક ડ્રિપ ઇરિગેશન પદ્ધતિથી ઉછેર્યો છે.

હાલ ખારેકના વાવેતર માટે એક રોપાદીઠ રૂ.1250 મહત્તમ એક હેક્ટર સુધી સબસિડી સહાય આપવામાં આવે છે. રાજકોટના આ પ્રગતિશીલ ખેડૂત તેના રાધિકા ફાર્મમાં 12 ગીર ગાય પણ રાખે છે અને આ ગાય શુદ્ધ અને સાત્ત્વિક દૂધ તો આપે છે, પરંતુ એનાં ગોબર અને ગૌ-મૂત્રથી દેશી ખાતર બનાવી ખેતીમાં ઉપયોગ કરે છે. તેમણે જંતુનાશક દવાના ઉપયોગ વગર તેમજ દૂધનો છંટકાવ કરી શાકભાજીના પાક પર રોગના નિયંત્રણ પર પણ સફળ પ્રયોગ કર્યો છે.

You cannot copy content of this page