મુંબઈઃ ‘ક્યા અદા ક્યા જલવે તેરે પારો’, ‘સોના સોના’, ‘શાબા શાબા’, ‘નીચે ફૂલો કી દુકાન’, ‘મોરા પિયા’, ‘મૈં યહાં તું વહાં’, ‘ચલી ચલી ફિર ચલી ચલી’ જેવા ગીત કમ્પોઝ કરનાર સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવે તમામ પ્રકારના હિટ ગીતો આપ્યા છે. તેમનો જન્મ 4 સપ્ટેમ્બર મધ્ય પ્રદેશમાં થયો હતો. આટલા હિટ ગીત આપ્યા છતાં તેમની પાસે અંતિમ સમયમાં એટલા રૂપિયા નહોતા કે તે તેમની સારવાર કરાવી શકે. અમે તમને જણાવીએ આદેશ શ્રીવાસ્વ વિશે.
આદેશ શ્રીવાસ્તવને પહેલો બ્રેક વર્ષ 1993માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કન્યાદાન’થી મળ્યો હતો. વર્ષ 1994માં ‘આઓ પ્યાર કરે’ ફિલ્મમાં સંગીત આપી સંગીતકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી હતી. જલદી જ આદેશે એક યુવા અને યોગ્ય સંગીતકાર અને ગાયક તરીકે પોતાની ઓળખ ઊભી કરી હતી.
આદેશ શ્રીવાસ્તવે બૉલિવૂડની સાથે-સાથે બૉલિવૂડ હસ્તિઓ સાથે ગાવાની શરૂઆત કરી હતી. ફૅમશ હૉલિવૂડ અને પૉપ સિંગર સાથે એકવાર સ્ટેજ પણ શેર કર્યું છે. શકીરા, એકોન સહિત અનેક હસ્તી સાથે ગીત પણ ગાયા છે. તે ફૅમશ ટીવી શૉ ‘સા રે ગા મા પા’માં એક જજ તરીકે પણ જોવા મળ્યાં હતાં.
આદેશને સાચી ઓળખ વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘રિફ્યૂઝી’થી મળી હતી. આ ફિલ્મમાં સંગીત આપવા માટે તેમને આઇફા એવોર્ડ પણ મળ્યો છે. આ પછી ‘રહેના હૈ તેરે દિલ મેં’(2001), ‘કભી ખુશી કભી ગમ’(2001), ‘બાગબાન’(2003) અને ‘રાજનીતિ’(2010)માં તેમને તૈયાર કરેલું સંગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું.
આદેશે એક્ટ્રસ અને ગાયિકા વિજેયતા પંડિત સાથે લગ્ન કર્યાં હતાં. આદેશ કેન્સર પીડિત હતો અને તેની સારવાર કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ચાલી રહી હતી. રૂપિયાની તંગીને લીધે તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેણે તેની કાર વેંચવી પડી હતી.
પોતાના 51માં જન્મ દિવસના બીજા દિવસે 5 સપ્ટેમ્બરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. પાંચ વર્ષમાં તેઓ ત્રણ વાર કેન્સર સામે લડ્યાં હતાં. તેમના નિધન પછી પરિવાર પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો હતો. આર્થિક તંગીને લીધે વિજેયતાને આદેશનો રૂમ પણ ભાડે આપવો પડ્યો હતો.