ઉત્તરપ્રદેશમાં એક જ પરિવારના 6 લોકોની હત્યાના કેસમાં પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પિતાના નાની વહુ સાથેના અનૈતિક સંબંધો અને સંપત્તિના વિવાદના કારણે આ હ્રદય દ્રાવક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પરિવારના સૌથી મોટા દિકરાએ જ તેના વૃદ્ધ માતા-પિતા, નાના ભાઇ, ભાભી અને સાથે-સાથે ભત્રીજા-ભત્રીજી સહિત આખા પરિવારની હત્યા કરી નાખી હતી. આ હત્યા અને કાવતરા પાછળ તેની સાથે તેના પુત્રનો પણ હાથ હતો. પોલીસે હત્યાના આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી દીધી છે. બંને 6 લોકોની હત્યા કર્યા બાદ જાતે જ બાઇક પર પોલીસ સ્ટેશન ગયા હતા. આ કેસ બંથરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગંદોલી ગામનો છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગુરૂવારે (30 એપ્રિલ) મોડી સાંજે અમર સિંહ ગામથી 400 મીટર દૂર ઉન્નાવ જિલ્લાના બિશુનપુર ગામમાં આવેલ તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. એ જ સમયે તેમનો મોટો દિકરો અજયસિંહ તેના 20 વર્ષના દિકરા અવનીશ સાથે ત્યાં પહોંચ્યો અને ગાળા-ગાળી કરવા લાગ્યો.
આ દરમિયાન થયેલા ઝગડા દરમિયાન અમર સિંહે તેના પિતા પર નાની વહુ સાથે અનૈતિક સંબંધોનો આરોપ મૂક્યો, જેના કારણે જ વેચેલ ખેતરના રૂપિયા નાની વહુને આપી દીધા એવો આરોપ મૂકી મારપીટ શરૂ કરી દીધી. મારપીટ બાદ અજયસિંહે ધારદાર હથિયારથી પિતા અમરસિંહની હત્યા કરી નાખી. ત્યારબાદ બીજા ખેતરમાં ખામ કરી રહેલ નાનાભાઇ અરૂણસિંહ પાસે ગયા. ત્યાં તેની પત્ની રામસખી, દિકરો સૌરભ (9), દિકરી સારિકા (2) ને પણ મારી નાખ્યાં.
પોલીસના જણાવ્યા અનુસાર અવનીશે તેના નાના કાકાની ધારદાર હથિયારથી હત્યા કર્યા બાદ ગેરકાયદેસર તમંચાથી ગોળી પણ મારી. પાંચ લોકોની હત્યા બાદ આ હત્યારા બાપ-દિકરા અજય અને અવનીશ ગુદોલી ગામમાં ઘરે ગયા.
જ્યાં તેમને ઘરના દરવાજે જ 65 વર્ષની વૃદ્ધ માતા રામદુલારી મળી, અજયે તેને પણ એક જ વારમાં મારી નાખી. પોલીસને ઘટનાની માહિતી મળી કે, થોડી જ વારમાં 6 લોકોની હત્યા કરનાર બાપ-દિકરા અજય સિંહ અને અવનીશ સિંહ જાતે જ બાઇક પર બંથરા પોલીસ સ્ટેશન પહોંચ્યા.
પોલીસે બધાં જ શબોનો કુંડમાં અંતિમ સંસ્કાર કરાવ્યો. કૃષ્ણાનગરના એસીપી દીપક કુમાર સિંહના જણાવ્યા અનુસાર, મૃતક અમર સિંહની દીકરી ગુડ્ડીની ફરિયાદના આધારે આરોપીઓ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં તેની પત્નીનો પણ સમાવેશ થાય છે. હાલ બધાંને જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે.