ત્રણ દિવસ પહેલા બ્રેઈન હેમરેજથી ડો.પરાગ પાઠકનું મોત થયા બાદ તેમની પત્ની પ્રીતિ ઝરિયાએ ભડભડા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. તે પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી. મીડિયાએ આ દંપતીના પરિચિતો સાથે તેમના જીવન વિશે વાત કરી હતી. ડોક્ટર પરાગની માનેલી બહેન અમિતા જૈન પાસેથી જાણો પરાગ અને પ્રીતિની લવ સ્ટોરી.
પ્રીતિ જબલપુરની નિવાસી હતી. પરાગ અને પ્રીતિના લગ્ન હજુ 4 વર્ષ પહેલા જ થયા હતા. પરાગના આ બીજા લગ્ન હતા અને પ્રીતિના આ પહેલા લગ્ન હતા. બંને વચ્ચે એટલો બધો પ્રેમ, સ્નેહ, આદર હતો કે સગાં-સંબંધીઓ, પરિચિતો પણ તેમની વાતો કરતાં-કરતાં થાકતા નથી. પ્રીતિ અને પરાગ વચ્ચે ગજબની સમજણ હતી. બંને એકબીજાની વાત સારી રીતે સમજતા હતા. ફક્ત એટલું જ નહીં પરાગ પ્રીતિ અને તેના પરિવારના સભ્યોનું પણ એટલું જ સન્માન કરતો હતો. તે તેમના પ્રત્યેની તેની બધી ફરજો નિભાવતો.
લગ્ન બાદ થોડા મહિના સુધી પ્રીતિ જબલપુરમાં રહી અને નોકરી કરતી રહી. તે જબલપુરની સરકારી માનકુંવર બાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ ઓટોનોમસ વિમેન્સ કોલેજમાં પ્રોફેસર હતી. સાસરે આવવાનો સમય ખૂબ જ ઓછો મળતો હતો. જ્યારે તેણે વિચાર્યું કે, તે નોકરી માટે કેટલા સમય સુધી પોતાના પ્રિયજનોથી દૂર રહેશે, ત્યારે તેણે જરાપણ વિલંબ ના કર્યો અને ભોપાલની સરકારી નરેલા કોલેજમાં સહાયક પ્રોફેસર તરીકે બદલી લીધી. તમે કહી શકો છો કે, પરિવાર માટે તેણે નોકરીમાં સિનીયોરીટી છોડી દીધી.
પરાગને કૂતરાઓ ખૂબ જ ગમતા હતા પણ પ્રીતિને નહીં તેમછતાં તેણે પરાગ માટે ઘરમાં કૂતરાઓ રાખવા માટે સંમતિ આપી અને લગભગ 6-7 મહિના પહેલા તેને 2 કૂતરા પણ ભેટમાં આપ્યા. એટલું જ નહીં ડિસેમ્બરમાં પતિના જન્મદિવસે પ્રીતિએ એક લક્ઝરી કાર પણ ગિફ્ટ કરી હતી.
પરાગને બીપીની તકલીફ હતી તો તેમનો લો કેલેરીવાળો ખોરાક, ગ્રીન ટી અને દરેક વસ્તુનું ધ્યાન ખુદ પ્રીતિએ જ રાખ્યું હતું. છેલ્લા 5-6 દિવસમાં હોસ્પિટલમાં પરાગને મળવા આવેલા તમામ લોકો પ્રીતિએ લગભગ દરેકને એક જ વાત કહી હતી કે, પ્રાર્થના કરજો કે તે જલ્દી સાજા થઇ જાય કારણકે, તેના વગર તો અમે પણ નહિ રહી શકીએ.
ભોપાલના ચુનાભટ્ટીના જાનકી નગરના રહેવાસી ભાભા મેડિકલ કોલેજના પ્રોફેસર ડો.પરાગ પાઠક (MDS)નું 28 એપ્રિલના રોજ બ્રેઈન હેમરેજના કારણે નિધન થયું હતું. તેમની આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની પ્રીતિ ઝરિયા (44)એ પણ એક કલાક બાદ આત્મહત્યા કરી લીધી હતી.
જબલપુરની રહેવાસી પ્રીતિ ભોપાલની નરેલા કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતી. તેમના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. બંનેને કોઈ સંતાન ન હતું. ડો.પરાગ પાઠકના પિતા હરિશંકર પાઠક ડેપ્યુટી કલેક્ટર રહી ચૂક્યા છે. તેમનું નિધન થયું છે, જ્યારે પરાગની માતા શોભા પાઠક ગાયનેકોલોજિસ્ટ છે. તે તેના પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતી હતી. પુત્રની તબિયત લથડતાં તે પુત્રવધૂ સાથે હોસ્પિટલમાં જ રહી હતી.
મંગળવારે રાત્રે તે પોતાની વહુ સાથે પણ હતી. દીકરાના મોત બાદ તે પણ હોસ્પિટલમાં જ રહી હતી. આ દરમિયાન પુત્રવધૂ કાર લઈ ગઈ અને આવું પગલું ભર્યું જેના કારણે હવે માતા સાવ એકલા પડી ગયા.