ધનુષકોડીઃ ભારતમાં અનેક એવી જગ્યા છે, જે રહસ્યોથી ભરેલી છે અને એમાંથી કેટલીક જગ્યાઓ તો એવી છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આવી જ એક જગ્યા તમિલનાડુના પૂર્વ તટ પર રામેશ્વરમ દ્વીપના કિનારે સ્થિત છે. આ એવી જગ્યા છે, જેને ભારતનો અંતિમ છેડો કહેવામાં આવે છે અને અહીં એક એવો રસ્તો છે, જેને ભારતનો અંતિમ રસ્તો કહેવામાં આવે છે. અહીં જ એ જગ્યા છે, જ્યાંથી શ્રીલંકા સાફ-સાફ દેખાય છે, પરંતુ આજે આ જગ્યા બિલ્કુલ વેરાન થઈ ગઈ છે અને રહસ્યોથી ભરેલી છે.
આ જગ્યાનું નામ છે ધનુષકોડી, જે એક ગામ છે. ધનુષકોડી, ભારત અને શ્રીલંકાની વચ્ચે એકમાત્ર એવી સીમ છે જે પાક જલસંધિમાં રેતીના તટ પર આવેલી છે. જેની લંબાઈ માત્ર 50 ગજ છે અને આ જ કારણે તે દુનિયાની લઘુત્તમ જગ્યામાંથી એક માનવામાં આવે છે.
આ ગામને ખૂબ જ રહસ્યમય માનવામાં આવે છે. અનેક લોકો તેને ભૂતિયા પણ માને છે. આમ તો દિવસના સમયે લોકો અહીં ફરવા માટે આવે છે, પરંતુ રાત થતા પહેલા તેમને પાછા મોકલી દેવામાં આવે છે. અહીં રાત્રે રોકાવાની કે ફરવાની મનાઈ છે. અહીંથી રામેશ્વરમનું અંતર માત્ર 15 કિમી જ છે અને આખો વિસ્તાર સુમસામ છે. જાહેર છે કે આવી જગ્યાએ કોઈને પણ ડર લાગે.
એવું નથી કે આ ગામ હંમેશા સુમસામ રહ્યું છે. અહીં પહેલા લોકો રહેતા હતા. એ સમયે ધનુષકોડીમાં રેલવે સ્ટેશનથી લઈને હૉસ્પિટલ, ચર્ચ, હોટેલ અને પોસ્ટ ઑફિસ બધું હતું, પરંતુ વર્ષ 1964માં આવેલા ભયાનક વાવાઝોડામાં બધું ખતમ થઈ ગયું. કહેવાય છે કે આ વાવાઝોડના કારણે 100થી વધુ મુસાફરોની સાથે એક ટ્રેન સમુદ્રમાં ડુબી ગઈ હતી. જે બાદ આ વિસ્તાર વેરાન થઈ ગયો.
કહેવાય છે કે ધનુષકોડી જ એ જગ્યા છે, જ્યાંથી સમુદ્રની ઊપર રામસેતુનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. માન્યતા છે કે આ જગ્યા પર ભગવાન રામે હનુમાનને એક પુલનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો હતો, જેના પરથી થઈને વાનર સેના રાવણની લંકા નગરીમાં પ્રવેશ કરી શક્યા. આ ગામમાં ભગવાન રામ સાથે જોડાયેલા અનેક મંદિર છે. એવી માન્યતા છે કે વિભીષણના કહેવા પર ભગવાન રામે પોતાના ધનુષના એક છેડાથી પુલને તોડી દીધો હતો. આ જ કારણે તેનું નામ ધનુષકોડી રાખવામાં આવ્યું.
આ ગામ સાથે એક ઐતિહાસિક ઘટના પણ જોડાયેલી છે. વર્ષ, 1893માં સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં આયોજિત ધર્મ સંસદમાં ભાગ લેવા ગયા હતા, જે બાદ પાછા ફર્યા બાદ સૌથી પહેલા ધનુષકોડીમાં જ પોતાનું પહેલું પગલું મૂક્યું હતું. તે શ્રીલંકાના કોલંબો થઈને અહીં પહોંચ્યા હતા.