અમદાવાદઃ દેશમાં કોરોનાવાઈરસથી સૌથી વધુ પ્રભાવિત થયેલા રાજ્યોમાંથી એક છે ગુજરાત. તંત્ર વાઈરસથી બચવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ, લૉકડાઉનનું પાલન અને સેનિટાઈઝ કરવાના ઉપાયોગ પર કામ કરી રહ્યું છે. હોસ્પિટલમાંથી મોટી માત્રામાં કોરોના દર્દીઓના ઈલાજમાં વપરાયેલો કચરો પણ આવી રહ્યો છે. ત્યારે સૌથી મોટો પડકાર એ છે કે આ કચરાને કઈ રીતે ડિસઈન્ફેક્ટ કરવામાં આવે.
અમદાવાદના સિવિલ હૉસ્પિટલની 1200 બેડની એક હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે, જેમાં બાયોકેમિકલ વેસ્ટને વાઈરસ મુક્ત કરવો ખૂબ જ મુશ્કેલ કામ છે. ન્યૂઝ ચેનલ આજ તકના અહેવાલ પ્રમાણે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાંથી રોજ 800 કિલો ઘન કચરાને કીટાણું મુક્ત કરવામાં આવે છે.
કોવિડ-19ના દર્દીઓએ વપરાશ કરેલી વસ્તુઓને વાઈરસથી મુક્ત કરવી મોટી સમસ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા વસ્તુઓથી વધુ સંક્રમણ ના ફેલાય તે માટે સોડિયમ હાઈપોક્લોરાઈડ લિક્વિડના માધ્યમથી કચરાને સંક્રમણ મુક્ત કરવામાં આવે છે. આજ તકના અહેવાલ પ્રમાણે રોજ ઉપયોગમાં લેવાતી 2500 પીપીઈ કિટ, 1500 માસ્ક, ડિસ્પોઝેબલ ગ્લાસ, ઈન્જેક્ટેડ નિડલ અને કૉટન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમને પહેલા વિષાણુમુક્ત કરવામાં આવે છે. બાદમાં ડિસ્પોઝ કરવામાં આવે છે.
કચરામાંથી ફેલાઈ શકે છે ચેપઃ અમદાવાદના કોવિડ હૉસ્પિટલના ઈન્ચાર્જ ડૉક્ટર સંજય કાપડિયાના કહેવા પ્રમાણે કોરોનાના દર્દી અને તેમનો ઈલાજ કરતા ડૉક્ટર-મેડિકલ સ્ટાફ જે કપડા ઉપયોગમાં લે છે, તેનાથી પણ કોરોના ફેલાવાની આશંકા રહે છે.
કપડાને સંક્રમણથી મુક્ત કરવા માટે પહેલા સોડિયમ હાઈપોક્લોરાઈડમાં તમામ કપડા અને કચરાને ડુબાડવામાં આવે છે. 30 મિનિટ સુધી લિક્વિડમાં જ રાખવામાં આવે છે, ત્યારે કપડા ચેપમુક્ત થાય છે, જે લોકો આ સફાઈના કામમાં લાગેલા હોય છે, તેમને હેન્ડ ગ્લવ્ઝ અને માસ્ક આપવામાં આવે છે, જેથી તેઓ ખુદ સંક્રમણથી બચી શકે.
એક શિફ્ટમાં એકઠો થાય છે 250 કિલો કચરોઃ કોરોના વોર્ડમાં 8 કલાકની એક શિફ્ટ હોય છે. એક શિફ્ટમાં 250 કિલો કચરો એકઠો થાય છે. સિવિલ હૉસ્પિટલમાં કુલ 12 ક્રિટિકલ વૉર્ડ અને 18 સ્ટેબલ પેશન્ટ વૉર્ડ બનાવવામાં આવ્યા છે. હૉસ્પિટલો માટે મોટો પડકાર કોરોનાના કચરાને ચેપથી મુક્ત કરવાનો છે.