હૈદરાબાદઃ 47 વર્ષીય ડાન્સર-કોરિયોગ્રાફર-એક્ટર તથા ડિરેક્ટર પ્રભુદેવા બીજા લગ્ન કરવાનો હોવાની ચર્ચા છે. જોકે, નવાઈની વાત એ છે કે તે પોતાની ભત્રીજી સાથે લગ્ન કરવાનો છે. આ થોડું વિચિત્ર છે પરંતુ હાલમાં આ ન્યૂઝ વાઈરલ થયા છે. શરમાળ તથા વિવાદોથી દૂર રહેનાર પ્રભુદેવાના બીજા લગ્ન હાલ ચર્ચાનો વિષય છે. જોકે, પ્રુભદેવા તથા તેની ટીમ તરફથી લગ્નની વાતનું ના ખંડન કરવામાં આવ્યું છે ના તો કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી.
ઈ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, પ્રભુદેવા પોતાની ભત્રીજી શોભાને ડેટ કરી રહ્યો છે અને તે ટૂંક સમયમાં લગ્ન કરવાનો છે. જોકે, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે તો પ્રભુદેવાના સત્તાવાર નિવેદન બાદ જ ખબર પડશે.
એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે તૂટ્યા હતા લગ્નઃ પ્રભુદેવાની પ્રોફેશનલ લાઈફ જેટલી શાંતિપૂર્ણ દેખાય છે, તેનું અંગત જીવન એલું જ અશાંતપૂર્ણ રહ્યું છે. પ્રભુદેવાએ 1995માં રામલતા સાથે લગ્ન કર્યા હતા. રામલતા મુસ્લિમ હતી અને ક્લાસિકલ ડાન્સર હતી. લગ્ન બાદ રામલતાએ હિંદુ ધર્મ અપનાવ્યો હતો. બંનેને ત્રણ દીકરા છે. જોકે, મોટા દીકરા વિશાલનું કેન્સરને કારણે 2008માં મોત થયું હતું.
પ્રભુદેવા અને નયનતારા લિવ ઈનમાં રહેતા હતાઃ પ્રભુદેવાના સંબંધો સાઉથ એક્ટ્રેસ નયનતારા સાથે હતા. પ્રભુદેવાએ તમિળ ફિલ્મ ‘વિલ્લુ’માં નયનતારાને કોરિયોગ્રાફ કરી હતી અને બંને વચ્ચે પ્રેમના સંબંધો બંધાયા હતા. શરૂઆતમાં બંનેએ સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. 2010માં પ્રભુદેવાએ નયનતારા સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો અને લગ્નની વાત સ્વીકારી હતી.
ડિવોર્સને 9 વર્ષ થયાઃ નયનતારા તથા પ્રભુદેવાના સંબંધોની વાત જ્યારે રામલતાને ખબર પડી તો તેણે ઘણો જ હંગામો કર્યો હતો. પ્રભુએ ડિવોર્સની અરજી કરી હતી. જોકે, રામલતાએ ડિવોર્સ આપવાની ના પાડી દીધી હતી. પછી કોર્ટમાં હંગામો થયા બાદ 2011માં રામલતાએ 16 વર્ષના લગ્નજીવનનો અંત લાવીને ડિવોર્સ આપ્યા હતા. જોકે, પ્રભુદેવાએ જેના માટે ડિવોર્સ લીધા એ નયનતારાએ 2012માં સંબંધો તોડી નાખ્યા હતા અને પ્રભુદેવા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
પ્રભુદેવાના અપકમિંગ પ્રોજેક્ટ્સઃ પ્રભુ એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ’ને ડિરેક્ટ કરી રહ્યો છે. આ ઉપરાંત તે સાઉથની ઘણી ફિલ્મમાં લીડ રોલ પ્લે કરતો જોવા મળશે. એક્ટર તરીકે પ્રુભેની ‘પોન મનિકવેલ’ 50મી ફિલ્મ છે. આ ફિલ્મમાં તે પહેલી જ વાર પોલીસના રોલમાં જોવા મળશે.