મુંબઈઃ દિગ્ગજ એક્ટર-કોમેડિયન જગદીપ સાહેબનું 81 વર્ષન વયે નિધન થયું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. મુંબઈના મજગાંવ સ્થિત શિયા કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા. કોરોનાથી બચવા સાવચેતીના પગલે સ્વ. એક્ટરની દફનવિધિમાં પરિવારજનોના અમુક લોકો જ સામેલ થયા હતા. દિગ્ગજ એક્ટરના દીકરા જાવેદ અને નાવેદ જાફરી સહિતના પરિવારજનોએ તેમને અંતિમ વિદાય આપી.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી જ્હોની લિવર જગદીપ સાહેબની અંતિમવિધિમાં સામેલ થયા હતા. જ્હોની લિવરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તેઓ દિગ્ગજ કોમેડિયનની કોપી કરી ફેમસ થયા હતા.
જ્હોનીએ કહ્યું કે,‘‘હું તેમની મિનિક્રી કરતો હતો, તેમને કોપી કરતો હતો. લોકો કહેતા કે- એક યુવક છે જે જગદીપ સાહેબની કોપી કરે છે. તેમની કોપી કરતા-કરતા મારું નામ થયું. મને તેમની સાથે કામ કરવાની તક મળી. તેઓ સારી વાતો જણાવતા. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું. તેઓ દિગ્ગજ કલાકાર હતા. ફિલ્મમાં જગદીપ સાહેબ હોય તો લોકો તેમના ડાયલોગ બોલતા-બોલતા થિએટરની બહાર નીકળતા હતા.’’
ઉલ્લેખનીય છે કે, જગદીપે પોતાના કરિયરમાં 400 જેટલી ફિલ્મ્સ થકી લોકોનું મનોરંજન કર્યું હતું. જગદીશ રમેશ સિપ્પીની ફિલ્મ ‘શોલે’ (1975)ના કેરેક્ટર સૂરમા ભોપાલીના નામથી લોકપ્રિય થયા હતા.
જગદીપે ડિરેક્ટર તરીકે ‘સૂરમા ભોપાલી’ પર 1988માં આ નામ સાથે જ ફિલ્મ બનાવી હતી અને લીડ રોલ પણ કર્યો હતો. આ ફિલ્મને પણ કેરેક્ટરની જેમ લોકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો.