હરિદ્વારઃ યોગ ગુરુ અને પતંજલિ આયુર્વેદ કંપનીના ફાઉન્ડર બાબા રામદેવ ઘણીવાર ચર્ચામાં રહે છે, પરંતુ તેમના પરિવાર વિશે ભાગ્યે જ ક્યારેક સાંભળવા મળ્યું હોય. ખાસ તો તેમના માતા-પિતા વિશે તો ભાગ્યે જ ચર્ચા થતી હશે. ભલે બાબા રામદેવનું ગામ હરિયાણાના મહેન્દ્રગઢ જીલ્લામાં હોય, પરંતુ તેમના માતા-પિતા હરિદ્વારમાં રહે છે. બિઝનેસ સ્ટાન્ડર્ડની એક રિપોર્ટ અનુસાર, બાબા રામદેવના નાના ભાઈ રામ ભરત યાદવ પતંજિલનું ડેલી રુટિન સંભાળે છે. જ્યારે તેમના પિતા ઘણીવાર પતંજલિ આયુર્વેદના ખેતરોનું કામ જોતા હોય છે. જોકે તેમની પાસે સત્તાવાર રીતે કોઈ જવાબદારી નથી. બાબા રામદેવના માતા પણ હરિદ્વારમાં રહે છે.
બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદના કામમાં તેમના પરિવારના ઘણા સભ્યો સાથ આપે છે. જેમકે, નાના ભાઈ રામ ભરતની પત્ની સ્નેહલતા પણ પતંજલિ આયુર્વેદનો ભાગ છે. જ્યારે ગ્રૂપની ઘણી કંપનીઓમાં ડિરેક્ટર તરીકે સામેલ છે. જોકે તે સક્રિય નથી અને એક ગૃહિણી તરીકે જ રહે છે. આ ઉપરાંત યોગ ગુરુની નાની બહેન ઋુતંભરા પણ પતંજલિની કંપનીઓમાં ડિરેક્ટર છે.
આ ઉપરાંત તેના પતિ યશદેવ શાસ્ત્રી પણ પતંજલિ ગ્રૂપની 2 મોટી કંપનીના ડિરેક્ટર છે તા ગ્રૂપના સરસોં બીજ સપ્લાઈની દેખરેખનું કામ કરે છે. જોકે આ દરમિયાન રામ ભરતનું કદ ઝડપથી વધી રહ્યું છે. અત્યારસુધી તેઓ બાબા રામદેવ અને આચાર્ય બાલાકૃષ્ણને રિપોર્ટ કરતા હતા અને પતંજલિનું રુટિન વર્ક પણ સંભાળતા હતા. જોકે હવે તેઓ રુચિ સોયાના એમડી(મેનેજિંગ ડિરેક્ટર) પણ છે.
આ પ્રથમ ઘટના છે, જ્યારે રામભરતને પતંજલિ આયુર્વેદ ગ્રૂપમાં કોઈ સત્તાવાર પદ આપવામા આવ્યું છે. પતંજલિ આયુર્વેદના એક કર્મચારીએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે,‘ભરત ભાઈ સવારે જ કામ શરૂ કરી દે છે અને ઓફિસથી સૌથી છેલ્લે ઘરે જાય છે. આ દરમિયાન 365 દિવસ કર્મચારીઓ માટે ઉપલબ્ધ રહે છે. તેઓ હંમેશા એક સ્મિત સાથે તમારું સ્વાગત કરે છે અને દિવસના ગમે તે સમયે તમે તેમને મળી શકો છો.’
પતંજલિ ગ્રૂપના એક પૂર્વ સિનિયર અધિકારીએ જણાવ્યું કે, રામભરત દિવસે ઘણી મિટિંગોમાં સામેલ રહે છે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ જેટલી બેઠકોમાં સામેલ થાય છે તેના કરતા વધારે મિટિંગ્સમાં રામભરત સામેલ થાય છે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની જેમ રામભરતે પણ કોઈ બિઝનેસ ટ્રેનિંગ મેળવી નથી.
જોકે તે તમામ બાબતોને સરળતાથી સમજી લે છે અને સંપૂર્ણ ગેમપ્લાનને લાગુ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કંપનીના સૂત્રો અનુસાર, બાબા રામદેવ અને આચાર્ય ગેમ પ્લાન તૈયાર કરે છે પરંતુ તેને લાગુ રામભરત કરે છે. કોઈપણ યોજના હેઠળ રુટિન કામમાં ફેરફાર અને ક્વોલિટી મેન્ટેનેન્સનું કામ રામભરત જ જુએ છે.