30 વર્ષ બાદ મકર રાશિમાં શનિનો પ્રવેશ, આ રાશિઓ પર સૌથી વધુ રહેશે પ્રકોપ, જાણો તમારું શું થશે?
અમદાવાદઃ સૌરમંડળમાં શોભનીય તથા નીલી આભા માટે સૌથી સુંદર ગ્રહ શનિ છે. જ્યોતિષમાં શનિની મહત્વની ભૂમિકા છે. 12 રાશિમાંથી આઠ રાશિઓને પ્રભાવિત કરે છે. ત્રણ રાશિઓને પોતાની દૃષ્ટિથી, ત્રણ રાશિઓને સાડા સાતીથી અને બે રાશિઓને ઢૈયાના રૂપમાં અસર કરે છે. નવ ગ્રહમા શનિને ન્યાયાધીશનો દરજ્જો પ્રાપ્ત છે. શનિ દુઃખનો સ્વામી છે. શુભ થાય તો વ્યક્તિને સુખી અને અશુભ થવા પર સદા દુઃખી તથા ચિતિંત રહે છે. જે રીતે એક શિક્ષક આપણને સમજીને યોગ્ય માર્ગ પર લાવવાનો પ્રયાસ કરે છે, ખોટું કરીએ તો દંડ આપે છે તે જ રીતે શનિ પણ ડિસિપ્લિન્ડમાં રહીને સીમાઓમાં બાંધે છે.
માહ મહિનાની અમાસે બપોર બાદ શનિનો 30 વર્ષ બાદ મકરમાં પ્રવેશઃ શુભ શનિ તમારી સાડા સાતી તથા ઢૈયામાં જાતકોને લાભ પ્રદાન કરે છે અને અશુભ શનિ જાતકને અસહ્ય કષ્ટ આપે છે. શનિ મંદ ગતિએ ચાલનારો ગ્રહ છે. શનિદેવ એક રાશિમાં બે વર્ષ છ મહિના સુધી રહે છે. 24 જાન્યુઆરી, 2020ના રોજ માહ મહિનાની અમાસે બપોર બાદ શનિ પોતાની રાશિ મકરમાં પ્રવેશ કરશે. આ ક્ષણને ધ્યાનમાં રાખીને દરેક શનિ મંદિરમાં ઉત્સવો થાય છે.
આ રાશિઓ થશે સૌથી પ્રભાવિતઃ શનિના રાશિ પરિવર્તનથી વૃષભ તથા કન્યા રાશિ પર શનિની ઢૈયા પૂરી થશે. મિથુન તથા તુલા રાશિ પર શનિની ઢૈયા શરૂ થશે. આ જ રીતે વૃશ્ચિક રાશિ પરથી સાડા સાતી પૂરી થશે. કુંભ રાશિ પર શનિની સાડા સાતી શરૂ થશે, જે સાત વર્ષ છ મહિના ચાલશે. ધન તથા મકર રાશિ પહેલેથી જ સાડા સાતીથી પ્રભાવિત છે. ગોચર મુજબ, શનિ જ્યારે જાતકની ચંદ્ર રાશિથી એક ભાવ પહેલાં ભ્રમણ કરવાની શરૂઆત કરે ત્યારે શનિની સાડા સાતી શરૂ થાય છે.
આ રાશિઓ પર શનિનો પ્રકોપ થશેઃ સાડા સાતીનો અર્થ થાય છે કે જાતકની જન્મરાશિના એક ભાવ પહેલા જન્મ/ચંદ્ર રાશિ પર તથા જન્મ/ચંદ્ર રાશિથી એક ભાવ આગળ શનિના ભ્રમણમાં પૂરા સાડા સાત વર્ષનો સમય લાગે છે. કારણ કે શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. આ જ પ્રકારે શનિ જન્મ/ચંદ્ર રાશિથી ચતુર્થ તથા અષ્ટમ ભાવમાં હોય ત્યારે શનિની ઢૈયાની શરૂઆત થાય છે, જેનો સમય અઢી વર્ષનો હોય છે. આ સમયે મિથુન, તુલા, ધન, મકર તથા કુંભ રાશિ પર શનિદેવનો વિશેષ પ્રભાવ રહેશે. એટલે કે આ રાશિઓના જાતકો પર શનિનો પ્રકોપ રહેશે.
વ્યક્તિના જીવનમાં ત્રણવાર ઢૈયા અને બેવાર સાડા સાતી આવે છેઃ શનિ વ્યક્તિના જીવનમાં ત્રણવાર ઢૈયા તથા બેવાર સાડાસાતીના રૂપમાં આવે છે. જાતક માટે આ સમય સૌથી મુશ્કેલ સમય હોય છે પરંતુ જો તે પરોપકારી તથા મહેનતી હોય તો તે સમય તેના જીવનનો સૌથી શ્રેષ્ઠ બની જાય છે અને તેનો પ્રભાવ આખા જીવન દરમિયાન રહે છે. જે જાતકો પર શનિની સાડા સાતી આંરભના સમયમાં છે, તેમની રાશિમાં બારમા ભાવમાં શનિ છે. આ સ્થિતિમાં આર્થિક હાનિ, ગુપ્ત શત્રુ તથા કારણ વગરની યાત્રા અને વિવાદ થાય છે.
શનિનો ગોચર પર પ્રભાવઃ સહકર્મીઓ સાથે સારા સંબંધો રહેશે નહીં અને કાર્યક્ષેત્રમાં અનેક અડચણો આવશે. ઘરમાં અનેક મુશ્કેલીઓ આવશે, જેથી સ્ટ્રેસ રહેશે. ખર્ચ પર અંકુશ મૂકવાની જરૂર છે. આ સમયે કોઈ પણ યાત્રા સફળ રહેશે નહીં. શનિનો સ્વભાવ વિલંબ તથા સ્ટ્રેસ પેદા કરવાનો છે. જોકે, તે સારું પરિણામ આપનારો છે. આથી જ ધીરજ રાખો અને સારા સમયની રાહ જુઓ. આ સમય દરમિયાન શનિ તમારી વિચારસરણીને પ્રભાવિત કરી શકે છે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લો.