Only Gujarat

Bollywood FEATURED

એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાનનું 55 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી થયું નિધન

બોલીવુડના એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાનનું હાર્ટ એટેકથી નિધન થયું છે. પરવેઝ 55 વર્ષના હતા. લાંબા સમયથી પરવેઝ ખાન સાથે કામ કરી રહેલા નિશાંતના કહેવા મુજબ પરવેઝને છાતીમાં ભારે દુખાવાની ફરિયાદ થઈ હતી, ત્યાર બાદ તેને મુંબઈની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જોકે, હોસ્પિટલમાં પહોંચતા તેને મૃત જાહેર કરાયા હતા. તેમને પહેલાંથી કોઈ સમસ્યા નહોતી, પરંતુ રવિવારે રાત્રે તેમને છાતીમાં તકલીફની ફરિયાદ કરી હતી.

ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ખબર છે કે પરવેઝ ખાને આ દુનિયાને અલવિદા કહ્યું છે. અમે બંનેએ શાહિદ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેણે માત્ર એક જ સિંગલ ટેકમાં જ રમખાણોનું શૂટ કરાવી દીધું હતું. તે ખૂબ કુશળ, જુસ્સાદાર વ્યક્તિ હતા. શ્રદ્ધાંજલિ પરવેઝ. તેમનો અવાજ હજી મારા કાનમાં ગૂંજી રહ્યો છે.

જણાવી દઈએ કે હંસલ મહેતાએ પરવેઝ ખાન સાથે 2013માં આવેલી ફિલ્મ ‘શાહિદ’માં કામ કર્યું છે. તેમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતા અને આ ફિલ્મમાં રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો.

પરવેઝે તેની કારકિર્દીની શરૂઆત એક્શન ડિરેક્ટર અકબર બક્ષીના સહાયક તરીકે કરી હતી. આ પછી, 2004માં તેમણે રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘અબ તક છપ્પન’થી પોતાનું કામ શરૂ કર્યું.

પરવેઝ ખાને શ્રીરામ રાઘવનની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં જોની ગદ્દાર, એજન્ટ વિનોદ, બદલાપુર અને અંધાધૂન જેવી ફિલ્મોનો સમાવેશ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page