આજે એક એવી ઘટના સામે આવી કે, જેના કારણે આખા શહેરમાં થોડા સમય માટે હડકંપ મચી ગયો હતો. આ ઘટના એટલી અજુગતી હતી કે, જે કોઈપણ પહેલીવાર સંભળાઈ એટલે તેના હોશ જ ઉડી જાય અને તેને વિશ્વાસ જ ના આવે. તેના મનમાં ફક્ત એક જ પ્રશ્ન ઉઠે કે, આવું કેવી રીતે શક્ય બને? આજે આનાસાગર તળાવમાં 2 હજારની નોટોનો વરસાદ થયો હતો. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ગોતાખોરોની મદદથી તળાવમાંથી 54 જેટલા નોટોના બંડલ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે, નોટોના બંડલ નકલી હોય એવું લાગી રહ્યું છે. આ ટોટલ બંડલનું મૂલ્ય હાલ 1.8 કરોડ આંકવામાં આવી રહ્યું છે, જોકે, નોટના બંડલ ભીના હોવાને કારણે આ અંગે સચોટ કોઈ માહિતી મળી નથી.
તમામ નોટો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું અને આ બંડલમાં રહેલી 2000ની નોટ અસલી નોટ જેવી લાગતી હતી. નોટોના તમામ બંડલો પ્લાસ્ટિકની થેલીઓમાંથી મળી આવ્યા છે. આ ઘટના પુષ્કર રોડ પર સેન્ચ્યુરી પબ્લિક સ્કૂલ નજીક બની હતી.
ASI બળદેવસિંહે જણાવ્યું હતું કે, આનાસાગર તળાવમાં 3 બેગમાંથી 2000 રૂપિયાની નોટો મળી આવી હોવાની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચીને આનાસાગર તળાવમાં પડેલી નોટો કબ્જે કરવામાં આવી હતી. તળાવમાંથી મળી આવેલી આ નોટો નકલી હોઈ શકે છે પરંતુ, તેના પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ લખેલું છે જેથી, આ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી કે નોટ અસલી છે કે નકલી.
પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય બેંકો પાસેથી માહિતી લીધા બાદ આ મામલાની તપાસ કરવામાં આવશે. આ સાથે જ આ નોટો કોણે આનાસાગર તળાવમાં નાખી છે? પોલીસ તેના વિશે પણ માહિતી એકઠી કરી રહી છે, જેથી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકે કે આ નોટ આનાસાગરમાં ક્યાંથી આવી? હાલ પોલીસે નોટોની તપાસ શરૂ કરી દીધી છે.
જૂન 2021માં પણ અનાસાગર તળાવમાં રામપ્રસાદ ઘાટ નજીક 200-500 રૂપિયાની અસલી નોટો તરતી મળી આવી હતી. નોટોની જાણ થતાં લોકો ભેગા થઇ ગયા હતા અને ડાઇવર્સ પણ તળાવમાં કૂદી પડ્યા હતા. બાતમીના આધારે કાર્યવાહી કરતા ગંજ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તળાવમાં તરતી મળી આવેલી નોટો કબજે કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, આ નોટો તળાવમાં પડી ગયેલા એક ઝૈરીનના પર્સમાંથી બહાર આવી હતી.