પોતાની ફિટનેસની સાથે-સાથે સુંદરતાથી પણ લોકોના હ્રદય પર રાજ કરનારી જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા લાઇમલાઇટમાં આવવાની કોઇ તક છોડતી નથી. ક્યારેક તેમના ડાન્સ, ક્યારેક તેમની ફોટોસ, ક્યારેક તેમના વીડિયોઝ તો ક્યારેક અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને તે લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે.
લગભગ એક મહિના પહેલા મલાઈકા અરોરા એક રોડ અકસ્માતમાં ઘાયલ થવાના કારણે ચર્ચામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, 2 એપ્રિલના રોજ મલાઈકાની કારને મુંબઈ-પુણે હાઈવે પર અકસ્માત નડ્યો હતો. તે સાંજે એક ઇવેન્ટમાંથી પરત ફરી રહી હતી જ્યાં તેની કારે હાઇવે પર જ સંતુલન ગુમાવ્યું હતું અને અકસ્માતમાં તેને માથામાં ઈજા પણ પહોંચી હતી.
મલાઈકાને મહારાષ્ટ્ર નવનિર્માણ સેવા (મનસે)ના કાર્યકર્તાઓની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી અને તેણીએ લગભગ એક દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે, મલાઈકા હજુ સુધી તે અકસ્માતના આઘાતમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શકી નથી. તે સ્વસ્થ તો થઈ ગઈ છે પણ તે અકસ્માતના પડઘા હજુ પણ તેના કાનોમાં ગુંજે છે અને તેને દૂર થવામાં હજુ પણ થોડો સમય લાગશે.
મલાઈકાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં પોતાની કાર એક્સિડન્ટ વિશે વાત કરી હતી. આ સમય દરમિયાન તેણે ખુલાસો કર્યો કે, જ્યારે તેનો અકસ્માત થયો ત્યારે તે બેભાન અવસ્થામાં બે લોકોના નામ લઇ રહી હતી. એક તો તે પોતાની માતાને યાદ કરી રહી હતી, જ્યારે જીભ પર બીજું નામ તેના પુત્ર અરહાન ખાનનું હતું.
ચારેય તરફ લોહી જ લોહી હતું
મલાઈકાએ કહ્યું, “મને યાદ છે કે મારી ચારેય તરફ લોહી વહી રહ્યું હતું. મારો પરિવાર, અર્જુન અને બધા ત્યાં દોડી આવ્યા હતા અને બધા ગભરાઈ ગયા હતા. અકસ્માતના એક અઠવાડિયા પછી મેં મારો ચહેરો જોયો, કપાળ પર ઈજાના નિશાન હતા. આ નિશાન મને એ દિવસે શું થયું તેની યાદ અપાવશે, પણ હું તેનાથી અટકીશ નહીં.”
કારમાં બેસવાથી લાગવા લાગી બીક
મલાઈકાએ એ પણ ખુલાસો કર્યો કે, “લોકોએ મને જણાવ્યું કે, હું બેભાન અવસ્થામાં નિરંતર મારી માતા-પુત્ર વિશે પૂછતી હતી. તે સમયે હું માત્ર બે પ્રાર્થનાઓ કરી રહી હતી, એક તો મારે મરવું નહોતું અને બીજી પ્રાર્થનામાં હું મારી આંખો ગુમાવવા નહોતી માગતી. તે ઘટના અત્યંત ડરામણી હતી. તે 15 દિવસના આઘાતમાં હું કારમાં બેસવાથી પણ ડરતી હતી. કારના કાચના નાના-નાના ટુકડા મારી આંખોમાં ઘૂસી ગયા હતા અને મને કશું જ બરાબર દેખાતું નહોતું.”
મલાઈકાએ ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂર સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી અને અર્જુન સાથેના તેના લગ્ન અંગે પણ મૌન તોડ્યું હતું. અભિનેત્રીએ કહ્યું, “દરેક સંબંધમાં લોકો તેને આગલા સ્તર પર લઈ જવાનું વિચારે છે. અર્જુન સાથેના સંબંધમાં હું ખૂબ જ ખુશ અને સકારાત્મક છું. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમે દરરોજ રોમાંસ કરીએ છીએ. બાકીનું બધું આગળ સમજાશે, પણ હું જાણું છું કે એ મારો સાચો જીવનસાથી છે.”
મલાઈકાએ કહ્યું, “મને લાગે છે કે, અમારા સંબંધો એવી જગ્યાએ છે કે જ્યાં અમે તેને આગળ વધારી શકીએ છીએ. અમે ઘણી બધી બાબતોની ચર્ચા કરી રહ્યા છીએ. અમે હાલ એક અલગ જ સ્તર પર છીએ. એકબીજાની વિચારસરણી અને વિચારો સાથે. અમે ખરેખર એકબીજાને ઇચ્છીએ છીએ અને ઘણી વસ્તુઓ અલગ છે. અમે તેના વિશે હસીએ છીએ અને મજાક કરીએ છીએ, પરંતુ અમે તેના વિશે ખૂબ જ ગંભીર પણ છીએ. હું હંમેશાં તેમને કહું છું કે, હું તમારી સાથે વૃદ્ધ થવા માગુ છું. બાકીનું બધું આપણે જોઈ લઈશું, હું જાણું છું કે એ મારા માટે એકદમ પરફેક્ટ છે.”