જુનાગઢ: ફરવાના શોખીનો માટે ખૂબ સારા સમાચાર છે. જૂનાગઢ ગીરનારનો રોપ-વે બનીને તૈયાર થઈ ગયો છે. એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ -વે પ્રોજેકટને યુદ્ધના ધોરણે આખરી ઓપ અપાઈ રહ્યો છે. હાલ ઓસ્ટ્રિયાની ટીમના માર્ગદર્શન હેઠળ સિગ્નલ કેબલ વર્ક ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ છે. અંદાજે 15 દિવસ બાદ રોપ-વેની ટ્રોલીમાં 450 કિલો વજન રાખી ટ્રાયલ કરવામાં આવશે. ત્યાર બાદ બીજી ટીમ આવશે, જે પેસેન્જર ટ્રોલીનું ટેસ્ટિંગ હાથ ધરશે. આગામી 9મી નવેમ્બરે ‘જૂનાગઢ આઝાદી દિવસ’નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રોપ-વેનું લોકાર્પણ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
રોપ-વે માત્ર 7.5 મિનિટમાં તળેટીથી અંબાજી લઈ જશે
ગીરનાર ડુંગર ચડવો એ જૂનાગઢની મુલાકાત લેનાર તમામ પ્રવાસીઓનું એક સપનું હોય છે. જોકે ખૂબ ઉંચો પર્વત ચડવો બધાની વશની વાત નથી. અનેક લોકો ડુંગર ચડીને ગીરનારના દર્શન નહીં કરી શકવાના કારણે હતાશ થતા હતા. આ લોકો માટે ખુબ ખુશીના સમાચાર છે. ગીરનારનો રોપ-વે બનીને તૈયાર થઈ ગયો છે. ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.
ગિરનાર રોપ-વે પ્રોજેક્ટનું લોઅર સ્ટેશન ગિરનાર તળેટી રહેશે, જ્યારે અપર સ્ટેશન અંબાજી મંદિર રહેશે. ગિરનાર તળેટીથી ઉપર અંબાજી સુધીનું 850 મિટરનું અંતર કાપતા માત્ર 7.28 સેકન્ડ લાગશે.
રોપ-વેમાં બે ટ્રોલી વચ્ચે 36 સેકન્ડનું અંતર રહેશે. એક ટ્રોલી તેના બોટમ સ્ટેશનથી છૂટ્યા પછી 216 મિટર આગળ જશે પછી બીજી ટ્રોલી રવાના થશે. એક કલાકમાં કુલ 800 પેસેન્જરોનું વહન થઈ શકશે.
રોપ-વે બારેસામ ચાલશે. રોપ-વેનો સમય સવારના 8થી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. રોપ-વે પાછળ અંદાજીત 130 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
ગિરનાર રોપ-વેનું પીએમ નરેન્દ્ર પ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખાત મૂહૂર્ત કર્યું હતું. એ વખતે 80 પેસેન્જરોની ક્ષમતાવાળી બે ટ્રોલી લગાવવાની યોજના હતી, પરંતુ હવે 8 પેસેન્જરોને સમાવી શકે તેવી 25 ટ્રોલી લગાડાશે.
રોપ-વેની દરેક ટ્રોલીમાં માઈક્રોફોન, લાઉડસ્પીકર, હવાબારીની વ્યવસ્થા હશે. ધીમે ધીમે ટ્રોલની સંખ્યા વધારીને 31 જેટલી કરવામાં આવશે.રોપ-વે માટે ઉભા કરવામાં આવેલા ટાવરની ઉંચાઈ 7-8 માળના બિલ્ડીંગ જેટલી છે.
ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળના જણાવ્યા મુજબ આખા ભારતમાં રોપ-વેની એક કેબીનમાં 4 કે 6 પેસેન્જર બેસી શકે તેવી કેબીનો કાર્યરત છે, પરંતુ એક કેબીનમાં 8 યાત્રિકો બેસી શકે તેવો દેશનો આધુનિક ટેક્નોલોજીવાળો એક માત્ર રોપ-વે ગિરનાર રોપ-વે હશે.
તળેટીથી લઈને ઉપર સુધી 2126 મિટરનું અંતર રહેશે. રોપ-વે પરની ટ્રોલી એક સેકન્ડમાં પાચ મિટરની ઝડપથી ચાલશે. લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન સુધી પહોચવામાં તેમજ અપર સ્ટેશનથી લોઅર સ્ટેશન સુધી પહોંચવામાાં 7.28 મિનિટનો સમય લાગશે.
ગિરનાર રોપ-વે યોજાનાનું લોઅર સ્ટેશન ગિરનાર તળેટી રહેશે, જ્યારે અપર સ્ટેશન અંબાજી મંદિર રહેશે. લોઅર સ્ટેશન જૂનાગઢથી 3.4 કિલોમિટરના અંતરે છે. જ્યારે રેલ્વે સ્ટેશનથી લોઅર સ્ટેશનનું અંતર 5 કિલોમિટરનું છે.
ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળના જણાવ્યા મુજબ રોપ-વેના કારણે જૂનાગઢ આવતા યાત્રિકોની સંખ્યામાં વર્ષે 40 લાખનો વધારો થશે. તેનાથી જૂનાગઢની આવકમાં વર્ષે 200 કરોડ રૂપિયાનો વધારો થશે. ગિરનાર રોપ-વે થવાથી માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને પણ ફાયજો થશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.
નવી મોનો કેબલ ટેક્નોલોજીમાં રોપ-વેની ટ્રોલીઓની ડિઝાઇન પવનની ઝડપનો સામનો કરી શકે તેવી એરોડાઈનેમીક પ્રકારની હશે.
નોંધનીય છે કે ગિરનાર રોપ-વે ઉષા બ્રેકો લિમિટેડ નામની કંપની બનાવી રહી છે. પાવાગઢ, અંબાજી સહિત દેશમાં 5 જગ્યાએ આ કંપની રોપ-વેનું સંચાલન કરી રહી છે. આ કંપની દ્વારા ભારત અને વિદેશમાં મળી કુલ 27 જેટલા રોપ-વે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે.