પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર અત્યાચારના કેસ બંધ થવાનું નામ લેતા નથી. હવે કરાચીમાં મંદિર તોડવાના સમાચાર સામે આવ્યા છે. અહીં આઝાદી પહેલા બનેલું હનુમાન મંદિર તોડી પાડવામાં આવ્યું. એટલું જ નહીં મંદિરની આસપાસ 20 હિન્દુ પરિવારોના મકાન પણ તોડી પાડવામાં આવ્યા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બિલ્ડર અહીં કોલોની બનાવી રહ્યાં છે. સ્થાનિક પ્રસાશન પણ તેઓની મદદ કરી રહ્યું છે.
મંદિરમાંથી મૂર્તિયો પણ ગાયબ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ઈમરાન સરકારે ફરી એકવાર અલ્પસંખ્યકો પર અત્યાચાર મુદ્દે મૌન ધારણ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિર સોમવારે 17 ઓગસ્ટે સવારે તોડવામાં આવ્યું હતું અને જાણકારી શુક્રવાર 21 ઓગસ્ટે સામે આવી.
ધ ટ્રિબ્યુનલના રિપોર્ટ પ્રમાણે મંદિરના પુજારીનો આરોપ છે કે કરાચીની બહારના વિસ્તાર લાયરીની જમીન એક બિલ્ડરે ખરીદી લીધી છે. તે અહીં કોલોની બનાવવા માગે છે. આથી મંદિર અને આસપાસના હિન્દુઓના મકાન તોડી નાખવામાં આવ્યા છે. મંદિર કોરોનાને કારણે થોડા મહિનાથી બંધ હતું.
જ્યારે હિન્દુઓએ મામલાની જાણકારી આપી તો ઘણા સમય બાદ પોલીસ ત્યાં પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં તો મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. કમિશનર અબ્દુલ કરીમ મેમને કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તો વિસ્તારમાં રહેતા બલોચ સમુદાય પણ મંદિર તોડવા પર દુઃખી છે. બલોચ નેતા ઇરશાદે આ વાતનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે મંદિર અમારી વિરાસતનું પ્રતિક હતું.
સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે બિલ્ડરે પહેલા વાયદો કર્યો હતો કે મંદિરને નુકશાન નહીં પહોંચાડવામાં આવે. મંદિરના પુજારીએ જણાવ્યું કે પહેલા અમારા ઘર તોડી નાખવામાં આવ્યા હવે મંદિર તોડી પાડવામાં આવ્યું. કોઇ એવું પણ કહી રહ્યું છે કે હનુમાનજીની મૂર્તિઓ ગાયબ છે. ઘટના બાદથી વિસ્તારમાં તણાવની સ્થિતિ છે.
વિસ્તારમાં હિન્દુઓના 150 પરિવાર રહે છે. આ લોકોએ મંદિર તોડવાનો વિરોધ કર્યો છે. હિન્દુઓએ ભારત સરકારને ટિકિટની વ્યવસ્થા કરવાની માગ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો ઇમરાન સરકાર નથી ઇચ્છતી કે અમે અહીં રહે તો અમે ભારત જતા રહેશું.