આઝાદ ભારતમાં એક રાજાએ તોડી પાડ્યું હતું CMનું હેલિકોપ્ટર ને પછી થયું ફૅક એન્કાઉન્ટર
જયપુરઃ રાજા માનસિંહના હત્યાકાંડમાં સામેલ 14 આરોપીમાંથી 11 દોષી સાબિત થયા હતા. બધા 11 દોષીઓને મથુરા કોર્ટે આજીવન કેદની સજા આપી છે. 35 વર્ષ જુના આ કેસની સુનાવણી સમયે માનસિંહની દીકરી દીપા સિંહ અને તેના પતિ વિજય સિંહ મથુરા કોર્ટ પહોંચ્યાં હતા. 35 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં અત્યાર સુધી 78 વખત સુનાવણી થઇ ચૂકી છે. શું હતો રાજા માનસિંહ હત્યાકાંડનો મામલો?. શા માટે થયું ફેક એન્કાઉન્ટર? સમગ્ર ઘટનાક્રમ સમજીએ.
શું બની હતી સમગ્ર ઘટનાઃ 21 ફેબ્રુઆરી 1985માં ભરતપુરના રાજા માનસિંહ અને બીજા બે અન્ય લોકોની ભરતપુર પોલીસે ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ કેસમાં તત્કાલીન સીઓ કાન સિંહ, એસએચઓ વીરેન્દ્ર સિંહનું નામ સામેલ હતું. જો કે ઘટનાની સીબીઆઇ તપાસ થઇ ત્યારે કેસનું આરોપપત્ર સીબીઆઇએ જયપુર કોર્ટમાં દાખલ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1990થી મથુરા કોર્ટમાં સુનાવણી ચાલતી હતી.
રાજા માનસિંહે રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી શિવચરણ માથુરનું હેલિકોપ્ટર જીપ અથડાવીને તોડી નાખ્યું હતું. ચૂંટણીનો માહોલ હતો અને આ સમયે તેમણે જનસભાનો મંચ પણ તોડી નાખ્યો હતો. આ ઘટનાના પગલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ નોંધાયાના એક દિવસ બાદ 21 ફેબ્રુઆરીએ ડીગ વિધાનસભા ક્ષેત્રના અપક્ષ ઉમેદવાર રાજા માનસિંહ તેમની જીપ લઇને પ્રચાર માટે લાલ કુંડા કાર્યલયથી ડીગ પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઇ રહ્યાં હતા.
આ સમયે પોલીસકર્મીઓએ તેના ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં રાજા માનસિંહ સાથે સુમેર સિંહ અને હરી સિંહનું પણ મૃત્યુ થયું હતું.આ ઘટના બાદ ડીગ પોલીસ સ્ટેશનના એસએચઓ વીરેન્દ્ર સિંહે રાજા માનસિંહના જમાઇ વિજય સિંહ વિરૂદ્ધ કલમ 370 હેઠળ ફરિયાદ નોંધી હતી.
જો કે વિજયસિંહને તે રાતે જ જામીન મળી ગયા હતા અને ત્યારબાદ 22 ફેબ્રુઆરીએ રાજા માનસિંહના મહેલના આંગણામાં જ રાજા માનસિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ વિજયસિંહએ ડીગ પોલીસ સ્ટેશનમાં માનસિંહ અને અન્ય તેના 2 સાથી મિત્રોની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં સીઓ કાનસિંહ ભાટી,એસએચઓ વિરેન્દ્ર સિંહ સહિત 14 પોલીસકર્મીઓ પર હત્યાનો આરોપી હતો.
આ હાઇપ્રોફાઇલ કેસની તપાસ સીબીઆઇને સોંપી દેવાઇ હતી. આ કેસની સુનાવણી રાજસ્થાનની બહાર મથુરા કોર્ટમાં કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં આ કેસ પર 78 વખત સુનાવણી થઇ ચૂકી છે. અને આખરે આજે 35 વર્ષ બાદ આ ફેક એન્કાઉન્ટરનો નિર્ણય આવ્યો છે. જો કે 14 આરોપીમાંથી 3ના મોત થઇ ગયા છે. મોટા ભાગના આરોપીઓની ઉંમર 80 વર્ષની આસપાસ છે.
શા માટે મુખ્યમંત્રીનો મંચ કર્યો હતો ધ્વંશઃ 21 ફે્બ્રુઆરી 1985માં તત્કાલીન મુખ્યમંત્રી શિવચરણ માથુર તેમના ઉમેદવારના સમર્થનમાંચૂંટણી સભા સંબોધવા માટે આવ્યા હતા. માનવામાં આવે છે કે, આ સમયે શિવચરણ માથુરે રાજા માનસિંહ વિશે કેટલીક વાતો કહી હતી. રાજા માનસિંહને આ વાતની જાણ થઇ તો તે તેમના સમર્થકોને લઇને મુખ્યમંત્રીના સભાસ્થળે પહોંચી ગયા અને તેમણે જીપથી ટક્કર મારીને મંચને ઘારાશાયી કરી દીધો.
આ સમયે શિવચરણ માથુરે સભા અધુરી છોડીને જતું રહેવું પડ્યું હતું. રાજા માનસિંહે જીપને હેલિકોપ્ટર સાથે અથડાવીની શિવચરણ માથુરનું હેલિકોપ્ટર પણ તોડી નાખ્યું હતું. આ ઘટના બાદ પોલીસ અધિકારી કાન સિંહ ભાટી સહિતના દોઢ ડઝન પોલીસકર્મીએ માનસિંહને પણ અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. જેમાં માનસિંહ સહિત સુમ્મેર સિંહ અને હરી સિંહનું મોત થયું હતું. આ ઘટના બાદ ત્રણેયના શબ જીપમાંથી મળ્યાં હતા. આ સમયે રાજા માનસિંહના જમાઇ વિજય સિંહ અને તેમની પુત્રીઁ દીપાએ માંડ માંડ તેનો જીવ બચાવ્યો હતો. આ ફેક એન્કાઉન્ટરનો 35 વર્ષ બાદ ફેંસલો આવ્યો છે અને 11 આરોપીને મથુરા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.