અમદાવાદઃ સામાન્ય રીતે મોટાભાગના લોકોને એ પ્રશ્ન સતાવતો હોય છે કે વજન કેમનું ઘટાડવું. તેઓ વજન ઉતારવા માટે અનેક ઉપાયો અજમાવી ચૂક્યા હોય છે. જીમથી લઈ ડાયટને કંઈ કેટલુંય કરતા હોય છે. ટીવીથી લઈ પેપરમાં અને બીજે બધે વધેલા વજનની ચર્ચા થતી હોય છે. જોકે, એવા પણ કેટલાંક લોકો છે, જેમનું વજન વધતું ના હોય. આ લોકો ગમે તે કરે પણ તેમનું વજન વધે જ નહીં. આજે આપણે વજન કેવી રીતે વધારવુ તે અંગે વાત કરીશું. વજન વધે તે માટે તમારા ભોજનમાં આ ફૂડ સામેલ કરો.
કંદમૂળઃ સુરણ, બટાટા જેવા શાકમાં કાર્બોહાઈડ્રેટ તથા શુગરની માત્રા વધારે છે. આનાથી શરીરને ફેટ વધુ મળે છે. આથી જ જેને વજન વધારવું હોય તેમણે ભોજનમાં રોજ કંદમૂળ ખાવા જોઈએ.
બદામઃ બદામ ખાવાથી શરીર વધે છે. આનાથી તમને એનર્જી તો મળશે જ પરંતુ વિટામિન, આર્યન, ફોસ્ફરસ, કેલ્શિયમ પણ મળશે. રોજ એક મુઠ્ઠી (અંદાજે 8-10) બદામ પાણીમાં પલાળો. સવારે છાલ કાઢીને બદામ પીસી લો. આ પેસ્ટ ગરમ દૂધમાં મધ કે સાકર સાથે પી જાવ.
મધઃ સામાન્ય રીતે માનવામાં આવે છે કે મધ વજન ઉતારવાના કામમાં આવે છે. જોકે, મધથી વજન વધે પણ છે. રોજ એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી મધ નાખીને પીવું.
જવઃ અઠવાડિયામાં ચારથી પાંચ વાર એક મુઠ્ઠી જવના દાણા પાણીમાં પલાળી દેવા. સવારે તેના છીલકા કાઢી દૂધમાં ઉકાળીને ખાંડ તથા ડ્રાયફ્રૂટ્સ નાખીને ખીર બનાવવી. આનાથી વજન ઝડપથી વધશે.
કેળાઃ કેળા ખાવાથી તરત જ વજન વધે છે. કેળા ખાઈને ઉપર એક ગ્લાસ ગરમ દૂધ પીવું.
નારિયેળનું દૂધઃનારિયેળ દૂધમાં અન્ય દૂધ કરતાં કેલરી વધારે છે અને તે પીવાથી સરળતાથી વજન વધે છે.
ખજૂરઃ રોજ રાત્રે કે સવારે ઘીમાં પલાળેલી બેથી ત્રણ ખજૂર ખાવી. ખજૂર ખાધા બાદ ઉપર એક કપ ગરમ દૂધ પી લેવું. હાલ શિયાળો ચાલે છે તો ખજૂર પાક બનાવીને પણ ખાઈ શકાય.
ખાસ નોંધઃ આ વસ્તુઓ ખાવાથી વજન વધે છે. જોકે, દરેક વ્યક્તિની અલગ-અલગ પ્રકૃતિ હોવાથી વજન એકદમ ઝડપથી ના વધે તેમ પણ બની શકે. આ ઉપરાંત જો કોઈને બીમારી હોય અથવા તો કોઈ વસ્તુ માફક ના આવતી હોય તો જે-તે વસ્તુઓ ખાવી નહીં.