મંગળવારની મોડી રાતે 2.30 વાગે છોટાઉદેપુરન છુછાપુરા ગામ પાસે ભયંકર અકસ્માત સર્જાયો હતો. સંખેડા તાલુકાના છુછાપુરા ગામ પાસે એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં. ધડાકાભેર અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. જેમણે બચાવ માટે કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના દોડી આવ્યો હતો.
છોટાઉદેપુરના છુછાપુરા પાસે સર્જાયેલા એસટી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કારના બોનેટના ભાગે નુકસાન થયું હતું અને આગળનો ભાગ કચડાઈ ગયો હતો જેથી કારમાં સવાર મૃતકોના મૃતદેહો કાઢવા માટે દરવાજા તોડવાની ફરજ પડી હતી. સ્થાનિકોએ કારના દરવાજા તોડીને મૃતદેહો બહાર કાઢ્યા હતા અને સાથે જ રાહત કામગીરી માટે તથા કારને દૂર ખસેડવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી.
મધ્યપ્રદેશ પાસિંગની કાર ક્રેટાનો મધરાતે એક્સિડન્ટ સર્જાયો હતો જેમાં મૃતકોમાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના આ તમામ મૃતકો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી હતી.
એસ.ટી. બસ કાલાવાડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતમાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. જોકે, બસમાં સવાર મુસાફરોમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. કારમાં ફસાયેલા લોકોને લોકોને કાઢતા સવાર થઈ ગઈ હતી. ચારેય મૃતદેહને સંખેડા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે.
આ કાર અકસ્માતમાં દિનેશભાઈ શિવરામ પટેલ (ઉ.43), ઈશ્વરલાલ કરશનજી બિરલા(ઉ.46), રાજેશભાઈ દેવરામભાઈ ગુર્જર(ઉ.37) અને ગ્યારશીલાલ ફુતુજી પટેલ(ઉ.36)નું મોત નિપજ્યું હતું.