મુંબઈઃ શાહરુખ ખાનના ઘરમાં હાલમાં શોકનો માહોલ છે. તેની કઝિન બહેન નૂર જહાંનું અવસાન થયું છે. નૂરજહાં પાકિસ્તાનની જાણીતી નેતા હતાં. તે લાંબા સમયથી કેન્સરથીપીડિત હતી. નૂરજહાં પાકિસ્તાનના પેશાવરમાં શાહવલી કતલમાં રહેતી હતી અને રાજકારણમાં સક્રિય હતી. તેના નિધનની માહિતી તેના પતિ આસફ બુરહાને આપી હતી. નૂરજહાં એક્ટર શાહરુખની કાકાની દીકરી હતી.
શાહરુખ ફોન પર અવાર-નવાર બહેન સાથે વાત કરતો હતો. નૂરજહાં પાકિસ્તાનમાં જિલ્લા તથા નગર કાઉન્સલ રહી ચૂકી હતી. વર્ષ 2018માં પાકિસ્તાનમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં પીકે 77થી ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું હતું. જોકે, અંતિમ દિવસે તેણે ફોર્મ પરત ખેંચી લીધું હતું. નૂરજહાં ખૈબર પખ્તૂનખ્વા એસેમ્બલીમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની હતી.
નૂરજહાં શાહરુખ ખાનને મળવા 1997 તથા 2011માં એમ બેવાર ભારત આવી હતી. પહેલીવાર જ્યારે તે ભારત આવી ત્યારે તે પતિ સાથે આવી હતી. સોશિયલ મીડિયામાં નૂરજહાંના સમર્થકો શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે શાહરુખ ખાનના પિતા મીર તાજ મોહમ્મદ દિલ્હી આવી ગયા હતાં પરંતુ કાકા ગુલામ મોહમ્મદ પાકિસ્તાન જ રહ્યાં હતાં. તેમને બે દીકરાઓ (મન્સૂર તથા મકસૂદ ખાન) તથા દીકરી નૂર હતી. 1978માં શાહરુખ પહેલી જ વાર પિતા સાથે પાકિસ્તાન ગયો હતો.