મુંબઈ: બ્લૉકબસ્ટર ફિલ્મ ‘શોલે’ના રહીમ ચાચાનો રૉલ પ્લે કરનાર ઍક્ટર એકે હંગલ દરેક લોકોને યાદ હશે. 26 ઑગસ્ટે તેમની આઠમી પુણ્યતિથિ હતી. વર્ષ 2012માં તેમનું નિધન થયું હતું. તેમનું આખું નામ અવતાર કિશન હંગલ હતું. તે સ્વતંત્રસેનાની હતા અને પછી ફિલ્મ ઍક્ટર બન્યા હતા. બૉલિવૂડની લગભગ 225થી વધુ ફિલ્મમાં અલગ-અલગ રૉલ પ્લે કરનાર એકે હંગલનું જીવન છેલ્લે ખૂબ જ ગરીબીમાં પસાર થયું હતું. તેમના છેલ્લાં દિવસોમાં તેમની પાસે સારવાર કરાવવા માટે પણ રૂપિયા નહોતા.
ઓછા લોકો જાણે છે કે, દેશના પહેલાં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એકે હંગલના સંબંધી હતા. તેમનો જન્મ કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ પાકિસ્તાનના પેશાવરમાં વીત્યું હતું. ત્યાં જ તેઓ થિયેટર કરતાં હતાં.
વર્ષ 1929 થી 1947 સુધી તેમણે આઝાદીની લડત લડી હતી. તે બલરાજ સાહની અને કૈફી આઝમી સાથે થિયેટર કરતાં હતાં. માર્ક્સવાદી હોવાને લીધે તે કારાચીની જેલમાં બે વર્ષ સુધી બંધ રહ્યાં હતાં. વર્ષ 1949માં જેલમાંથી છૂટયાં પછી તે તેમના પરિવાર સાથે મુંબઈ આવી ગયા હતાં.
તેમણે પોતાનું ફિલ્મી કરિયર 52 વર્ષની ઉંમરમાં શરૂ કર્યું હતું. વર્ષ 1966માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તીસરી કસમ’ તેમની પહેલી ફિલ્મ હતી. 70, 80 અને 90નાં દશકમાં તેમણે ખૂબ જ ફિલ્મો કરી હતી.
તેમણે રાજેશ ખન્ના સાથે 16 ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તે ‘હીર-રાંઝા’, ‘નમક-હરામ’, ‘શૌકીન’, ‘આઇના’, ‘અર્જુન’, ‘આંધી’, ‘તપસ્યા’, ‘કોરા કાગજ’, ‘બાવર્ચી’, ‘છુપા રુસ્તમ’, ‘બાલિકા વધુ’, ‘ગુડ્ડી’, ‘નરમ-ગરમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
વર્ષ 2016માં ફિલ્મમાં યોગદાન માટે તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પંડિત નેહરુની પત્ની કમલા નેહરુ એકે હંગલની માતાને સંબંધમાં બહેન થતી હતી.
એકે હંગલને તેમના અંતિમ દિવસમાં એક નાના રૂમમાં પસાર કરવા પડ્યાં હતાં. તે 95 વર્ષની ઉંમરમાં તેમના દીકરા સાથે ખંડેર જેવા ઘરમાં રહેતાં હતાં. એક સમયે તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, તેમની પાસે દવા અને મેડિકલનું બીલ ભરવાના પણ રૂપિયા નહોતા.
એકવાર બાથરૂમમાંથી લપસી ગયા હતા. જે પછી તેમના જાંઘનું હાડકું તૂટી ગયું હતું અને પીઠમાં પણ ઇજા થઈ હતી. સર્જરી માટે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ શ્વાસ લેવાની તકલીફને કારણે તેમની સર્જરી થઈ શકે નહીં.
સ્વાસ્થ્ય વધુ પડતું ગયું અને તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા. ધીરે-ધીરે તેમનાં ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું અને પછી તેમને દુનિયાને અલવિદા કહ્યું હતું.