પાટણ જિલ્લાના ચાણસ્માના કંબોઇ પાસે ઇકો ગાડીનું ટાયર ફાટકા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અન્ય પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાંતલપુરના અબિયાના ગામનો પરિવાર અમદાવાદ ખાતે પુત્રના લગ્ન લખીને પરત આવી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઇ છે.
બે દિવસ પછી જ પુત્રના લગ્ન હતા. જ્યારે આજે સાંજે સાત વાગ્યે લગ્ન વધાવવાનું હતું. સાંતલપુરના અબિયાના ગામના ભીખાભાઇ નાઈના પુત્ર ભરતના 24 તારીખે લગ્ન નક્કી થયા હતા. જેની કંકોત્રીઓ સગા સંબંધીઓને આપી દેવામાં આવી હતી.
ત્યારે આ પરિવાર રિતરિવાજ મુજબ વેવાઇને ત્યાં અમદાવાદ લગ્ન લખવા ગયો હતો. જ્યાંથી પરત ફરતાં ચાણસ્માના કબોઈ પાસે ઇકો ગાડીનું ટાયર ફાટતા ગાડી પલટી મારી સાઇટમાં પડી હતી. જેમાં ભીખાભાઈ નાઈ, સોમાભાઈ નાઈ અને 7 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું.
આ અકસ્માતમાં અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોની લાશને પીએમ માટે હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે.